અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, પંચમહાલ અને અમરેલી જિલ્લાનો સહાય સર્વે પૂર્ણ, રિપોર્ટ આવતી કાલે કૃષિમંત્રીને સોંપાશે
અતિવૃષ્ટિમાં બાકી રહેલા જિલ્લાઓની સહાયનો મામલો
બાકીના જિલ્લાઓમાં સર્વેની કામગીરી પૂર્ણ
આવતીકાલે કૃષિમંત્રી તેમજ મુખ્યમંત્રીને સર્વે રિપોર્ટ સોંપશે
અતિવૃષ્ટિના કારણે ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે રાજ્યમાં ખરીફ-૨૦૨૧ સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદથી પાક-નુકશાન સામે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું જે બાદ સૌરાષ્ટ્રના અનેક એવા જિલ્લાઑ હતા જે સહાયથી અત્યાર સુધી સર્વે ન થવાને કારણે વંચિત હતા પણ હવે બાકીના 7 જિલ્લાના અસરગ્રસ્તો માટે સહાયનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને ઉદારતમ ધોરણે સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે ત્યારે આવનારા સમયમાં 7 જિલ્લાના ખેડૂતોને પણ સહાયનો લાભ મળશે.
બાકી જિલ્લાની સહાયનો સર્વનો રિપોર્ટ 2 નવેમ્બરે (આવતીકાલે) CM અને કૃષિમંત્રીને સોંપાશે
રાજ્યમાં અતિવૃષ્ટિથી નુકસાન થયેલા જિલ્લાઓ માટે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે અને આ મામલે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેની કામગીરીમાં બાકી રહેલા 7 જિલ્લાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ 7 જિલ્લાઓમાં અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, પંચમહાલ અને અમરેલીનો સમાવેશ થાય છે. આ 7 જિલ્લાઓની સર્વેની કામગીરીનો રિપોર્ટ મુખ્યમંત્રીનો સોંપવામાં આવશે. આવતીકાલે કૃષિમંત્રી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સર્વેનો રિપોર્ટ સોંપશે.
અગાઉ કયા જિલ્લાને કેટલી મળી હતી સહાય
જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે.અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને ૩૩(તેત્રીસ) ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૧૩,૦૦૦ સહાય ચૂકવાશે. આ સહાયમાં એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. ૬,૮૦૦ અપાશે. બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. ૬,૨૦૦ મહત્તમ ૨(બે) હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. જો જમીનધારકતા આધારે એસડીઆરએફ(SDRF)ના ધોરણો મુજબ રૂ. ૫(પાંચ) હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રુ. ૫(પાંચ) હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે.
રાહત પેકેજનો લાભ લેવા શું રહેશે પ્રોસેસ?
રાહત સહાય પેકેજનો લાભ મેળવવા ઈચ્છુક અસરગ્રસ્ત ખેડૂતે ૮ –અ,તલાટીનો વાવેતરનો દાખલો, ૭-૧૨, આધાર નંબર, બેંક ખાતાની વિગતો સાથેની પાસબુકની નકલ, મોબાઈલ નંબર તેમ જ સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહી સાથેનું ના-વાંધા સંમતિપત્રક વગેરે સાથે ટીડીઓ(તાલુકા વિકાસ અધિકારી)ને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. આધાર નંબર ન હોય તો આધાર કાનૂન(એક્ટ)માં નિયત જોગવાઈ મુજબના જરૂરી દસ્તાવેજો સહાય માટે રજૂ કરવા પડશે.
ખાતેદારના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારોએ પેઢીનામું રજૂ કરવાનું રહેશે. અને કોઈ એક જ વારસદારને સહાય મળવાપાત્ર થશે. અને તે અંગે અન્ય વારસદારો તથા ખાતાના અન્ય ખાતેદારઓએ સંમતિનું સોંગદનામું આપવું પડશે. વનઅધિકારપત્ર સનદ હેઠળ મેળવેલી જમીનના ખેડૂતોને પણ તથા વન વિસ્તારના સેટલમેન્ટ ગામોમાં ખેતી કરતા અસરગ્રસ્ત ખેડૂતોને પણ જરૂરી આધાર પુરાવા રજૂ કર્યેથી સહાયનો લાભ મળશે.
કોને નહીં મળે લાભ?
સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે નહીં.