સરકાર અને ખેડૂત નેતાઓની ગુરુવારે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કૃષિ કાયદા અંગે બેઠક યોજાઇ ગઇ. ચોથા રાઉન્ડની આ બેઠકમાં આશરે 40 ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બપોરે 12 વાગ્યે શરૂ થયેલી આ બેઠક લગભગ સાડા સાત કલાક સુધી ચાલી હતી. આ મહત્ત્વની બેઠકમાં કવિતા તાલુકદાર ખેડૂત નેતાઓમાંથી એક માત્ર મહિલા હતી.
દિલ્હીમાં ખેડૂતો 8 દિવસથી કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન
સરકાર સાથેની બેઠકમાં એકમાત્ર મહિલા રહી હાજર
કવિતા તાલુકદાર નામની મહિલાએ કરી ધારદાર રજૂઆત
ઉલ્લેખનીય છે કે, કવિતા સામાજિક કાર્યકર્તા છે અને કિસાન આંદોલનની સેન્ટ્રલ કોઓર્ડિનેશન કમિટીના સભ્ય પણ છે. કવિતાએ ખેડૂત નેતાઓનું પ્રતિનિધિત્વ કરતી વખતે આ ચર્ચામાં જબરદસ્ત દલીલો કરી હતી. કવિતા તાલુકદાર અખિલ ભારતીય કિસાન સંયુક્ત સમિતિના સભ્ય પણ છે.
છેલ્લા 8 દિવસથી બોર્ડર પર વિરોધ કરી રહ્યા છે ખેડૂતો
આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે છેલ્લા 8 દિવસથી ખેડુતો દિલ્હી બોર્ડર પર વિરોધ કરી રહ્યા છે. ખેડુતો કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે. આ તરફ, સરકાર ખેડૂતોને મનાવવામાં વ્યસ્ત છે. સરકારનું કહેવું છે કે કૃષિ કાયદો ખેડૂતોની તરફેણમાં છે.
આજે 7 કલાકથી વધુ સમય સુધી ચાલી બેઠક
ખેડૂતોનું આંદોલન તેની ચરમસીમા ઉપર પહોંચ્યું છે. દિલ્હીમાં સરકાર અને ખેડૂતો વચ્ચે છેલ્લા 7 કલાકથી ચાલી રહેલી મીટિંગનો અંત આવ્યો છે. સરકારે કહ્યું અમે ખેડૂતોની સાથે છીએ અને અમે તેમની ચિંતા છે. અમે આગામી 5 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે બેઠક કરીશું ત્યારે અંતિમ નિર્ણય આવશે તેવી આશા રાખીએ છીએ.
MSPમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં : કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર
ખેડુતો સાથે બેઠક બાદ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકાર અને ખેડુતોએ પોત-પોતાનો પક્ષ રાખ્યો હતો. ખેડૂતોની ચિંતા ન્યાયી ઠરે છે. સરકાર ખેડૂતોના હિત માટે કટિબદ્ધ છે. સરકાર ખેડૂત સંઘ સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી રહી છે. ખેડુતોના 2-3 મુદ્દા પર ચિંતા કરી રહ્યા છીએ. બેઠક સૌમ્ય વાતાવરણમાં યોજાઇ હતી. સરકાર APMCને મજબૂત બનાવવા પર વિચાર કરશે. આ સાથે જ કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે બેઠકમાં ખેડૂત નેતાઓને કહ્યું હતું કે, ન્યૂનતમ ટેકાના ભાવને સ્પર્શ કરવામાં આવશે નહીં, MSPમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.