કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારીને કારણે 40 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવી દીધો છે અને હવે ભારતમાં પણ કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આવા મુશ્કેલ સમયમાં કોરોના સામેની જંગ જીતવા ભારતીય ખેલાડીઓ પીએમ રિલીફ ફંડમાં દાન આપીને લોકોની મદદ કરી રહ્યાં છે. જેમાં સચિન, વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા મોટા નામ સામેલ છે. જોકે, ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતાડનાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહના ફેન્સે તેના પર નિશાન સાધ્યું છે.
કોરોના સંકટમાં મદદ માટે આગળ આવ્યા ક્રિકેટર
જોકે, આ ક્રિકેટર ભારત નહીં પાકિસ્તાનની મદદ કરવાની કરી વાત
હકીકતમાં યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર તેના ફેન્સને અપીલ કરી કે તેઓ પાકિસ્તાનના કોરોનાગ્રસ્ત લોકોની મદદ કરે. યુવરાજ સિંહે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ અફ્રીદીના ફાઉન્ડેશનમાં દાન કરવાની અપીલ કરી છે. યુવરાજે ટ્વિટ કરીને લખ્યું- આ મુશ્કેલ સમય છે અને આપણે પીડિતોની મદદ કરવી જોઈએ. આપણે આપણું કામ કરવું જોઈએ. હું શાહિદ અફ્રીદી અને તેના ફાઉન્ડેશનના સમર્થનમાં છું. તે કોરોના સામે જંગ લડી રહી છે. મહેરબાની કરીને http://donatekarona.com પર દાન કરો. યુવરાજ સિંહની આ ટ્વિટથી ફેન્સ ખૂબ જ ભડકી ગયા છે. તેમણે યુવરાજ સિંહને મુશ્કેલ સમયમાં પહેલાં ભારતની મદદ કરવાનું કહ્યું.
યુવરાજ સિંહ પહેલા હરભજન સિંહે પણ શાહિદ આફ્રિદીને મદદ કરવા અપીલ કરી હતી. 29 એપ્રિલે તેણે કોરોના વાયરસ સામે લડતા પાકિસ્તાનને મદદ કરવાનું કહ્યું હતું, જે બાદ ફેન્સે તેની ક્લાસ લગાવી દીધી હતી. હકીકતમાં હરભજન સિંહે તેની આ પોસ્ટમાં યુવરાજ સિંહને પણ ટેગ કર્યો હતો, કદાચ તેથી જ યુવરાજે શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનને મદદ કરવા માટે એક વીડિયો બનાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ સમયે પાકિસ્તાનના ઘણાં ક્રિકેટરો કોરોના વાયરસથી પીડિત લોકોને મદદ કરી રહ્યા છે. શાહિદ આફ્રિદી લોકોને જરૂરી વસ્તુઓનું વિતરણ કરી રહ્યા છે. સાથે જ પાકિસ્તાનનો વિકેટકીપર સરફરાઝ અહેમદ પણ લોકોને ઘરનું રાશન આપી રહ્યો છે. અહેમદ શેહઝાદ પણ લોકોને મદદ કરી રહ્યો છે. ભારત વિશે વાત કરીએ તો આપણા ક્રિકેટરો ઘરે છે પરંતુ તેઓ લોકોને આર્થિક મદદ કરી રહ્યા છે. વિરાટ કોહલી, સચિન તેંડુલકર, રોહિત શર્મા, સુરેશ રૈના જેવા ખેલાડીઓએ દાન આપ્યું છે. જોકે હજી સુધી યુવરાજ સિંહ અને હરભજને કેટલી આર્થિક મદદ કરી છે, એ વાત સામે આવી નથી.