ફોની વાવાઝોડાના કારણે 16નાં મોત થયા છે જ્યારે 1 કરોડ લોકોને અસર થઇ છે. જેમાં ઓડિશાના મયુર ભંજમાં 4, પુરી અને ભુવનેશ્વરમાં 3 અને ક્યોંઝર, નયાગઢ અને કેન્દ્ર પાડામાં એક એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે.
ચક્રવાત ફોનીએ મચાવેલી તબાહીમાં મૃતકોનો મૃત્યુઆંક 16 ને પાર થયો છે. ત્યારે ઓડિસામાં યુદ્ધ સ્તરે રાહત અને બચાવ કાર્ય તથા પુનર્વસનનું કામ હાથ ધરવામાં આવ્યુ છે. તો ફોનીના પગલે લગભગ 10 હજાર ગામ અને 52 શહેરોમાં યુદ્ધ સ્તરે બચાવ અને રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે.
એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે છેલ્લા 43 વર્ષમાં ઓડિસામાં પહોંચનારુ આ પહેલુ વાવાઝોડુ છે અને છેલ્લા 150 વર્ષમાં ત્રાટકેલા સૌથી શક્તિશાળી વાવાઝોડામાંનું એક છે. ફોની વાવાઝોડુ ત્રાટક્યુ ત્યારે 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ વાવાઝોડાની અસરથી 1 કરોડ જેટલા લોકો પ્રભાવિત થયા છે.
ફોનીની લપેટમાં આવતા અનેક કસ્બા, ગામો અને હજારો મકાનો સંપૂર્ણપણે નષ્ટ થયા છે. તો ઓડિસામાં ત્રાટકેલા વાવાઝોડાની સમીક્ષા માટે પીએમ મોદી પણ આવતીકાલે મુલાકાત લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ફોની વાવાઝોડુ ત્રાટકતા ઓડિસામાં નીટની પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી છે. આ પહેલા 1999માં સુપર સાઇક્લોન આવ્યું હતું જેના કારણે દસ હજાર લોકોનો મોત થઇ ગયા હતા અને એક ખૂબ મોટા ક્ષેત્રમાં વિનાશલીલા થઇ હતી.