ચક્રવાત ફેણીએ મચાવેલી તબાહીમાં મૃતકોનો મૃત્યુઆંક 16ને પાર થયો છે. ત્યારે ઓડિસામાં યુદ્ધ સ્તરે રાહત અને બચાવ કાર્ય તથા પુનર્વસનનું કામ હાથ ધરવામાં આવ્યુ છે. તો ફેણીના પગલે લગભગ 10 હજાર ગામ અને 52 શહેરોમાં યુદ્ધ સ્તરે બચાવ અને રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. ત્યારે આ વાવાઝોડાની અનેક જગ્યાઓ પર અસર પડી છે.
ફેણી વાવાઝોડાથી સુરતના વેપાર-ધંધા પર પણ અર પડી છે. સુરત ટેક્સટાઇલના વેપારીઓને ફેણી વાવાઝોડાની મોટી અસર થઇ છે. પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં કાપડ પાર્સલ ડિલિવરી ઠપ્પ થઇ ગઇ છે. સ્થિતિ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી આ ડિલિવરી અટકાવાઇ છે. ટેક્સટાઇલની અંદાજે પ્રતિદિવસ 16 હજાર પાર્સલની ડિલિવરી ખોરવાઇ છે. ત્યારે ફેણી વાવાઝોડાના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને કરોડોનું નુકસાન થઇ રહ્યું છે.
આવતીકાલે પુરી-અમદવાદ ટ્રેન પણ કરાઈ રદ
ફેણી વાવાઝોડના પગલે રેલવે તંત્ર દ્વારા કેટલીક ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેણી વાવાઝોડાના પગલે આજે પુરી અમદાવાદ વચ્ચેની ટ્રેન રદ કરવામાં આવી છે. ટ્રેન રદ કરતા મુસાફરો રઝળી પડ્યા છે. તો મુસાફરોમાં પણ આંશિક રોષ સામે આવ્યો છે. જે બાદ રેલવે તંત્ર દ્વારા રિફંડ ચૂકવવા માટે સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.
મહત્વનું છે કે છેલ્લા 43 વર્ષમાં ઓડિસામાં પહોંચનારુ આ પહેલુ વાવાઝોડુ છે અને છેલ્લા 150 વર્ષમાં ત્રાટકેલા સૌથી શક્તિશાળી વાવાઝોડામાંનું એક છે. ફેણી વાવાઝોડુ ત્રાટક્યુ ત્યારે 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ વાવાઝોડાની અસરથી 1 કરોડ જેટલા લોકો પ્રભાવિત થયા છે. ફેણીની લપેટમાં આવતા અનેક કસ્બા, ગામો અને હજારો મકાનો સંપૂર્ણપણે નષ્ટ થયા છે.
તો વાવાઝોડાની સમીક્ષા માટે પીએમ મોદી પણ આજે ઓડીસાની મુલાકાત પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, ફેણી વાવાઝોડુ ત્રાટકતા ઓડિસામાં નીટની પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી છે.