ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં આ સિઝનમાં સૌ કોઈ કેસર કેરીના સ્વાદને યાદ કરી રહ્યા છે. પણ લોકડાઉનને કારણે હજુ સુધી કેસર કેરીનો સ્વાદ લોકોને માણવા નથી મળ્યો. તેવામાં સારા સમાચાર એ છે કે, કેસર કેરીની બજારમાં એન્ટ્રી થઈ ગઈ છે.
કેસર કેરીની બજારમાં એન્ટ્રી
તાલાલા માર્કેટ યાર્ડમાં હરાજીનો પ્રારંભ
એક બોક્સના 200 થી 500 રૂપિયા ભાવ
તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે. અને પ્રથમ દિવસે જ 7000 બોક્સની આવક થઈ છે. હાલ લોકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી કેરીની અન્ય રાજ્ય અને વિદેશમાં નિકાસ થઇ શકતી નથી.
કમોસમી વરસાદથી કેરી 15 દિવસ મોડી આવી
પરંતુ આજે તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન શરૂ થયું છે. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની કેરીના પાકને વેચવા માટે ઉમટી પડ્યા છે. આ વર્ષે લોકડાઉનને કારણે અને કમોસમી વરસાદથી કેરી 15 દિવસ મોડી આવી છે.
જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રથમ બોક્સના 11 હજાર આપી ખરીદ્યુ હતું અને હરાજીનો પ્રારંભ કરાવ્યો હતો. સાંસદે 11 હજાર આપી ગૌસેવા માટે આ બોક્સ ખરીદ્યુ હતું. આ બોક્સની કેરી ગાયોને ખવડાવવામાં આવશે. આજે 10 કિલો બોક્સના ભાવ 200 રૂપિયાથી 500 રૂપિયા સુધીના બોલાયા હતા.
ગીરની પ્રખ્યાત કેસર કેરીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આ વર્ષે વિદેશમાં વસતા કેસર કેરીના રસિકો કેસરના સ્વાદથી વંચિત રહે તેવી સંભાવના છે. વિદેશમાં કેરી એક્સપોર્ટ ન થવાના કારણે ગીરના ખેડૂતોને 75થી 100 કરોડ રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.
એક તરફ લોકડાઉનનો માર જ્યારે બીજી તરફ વાતાવરણના કારણે પણ ખેડૂતોને મોટું નુકસાન થયું છે..જેના કારણે ખેડૂતોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે..આ અંગે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ખેડૂતોને મદદનું આશ્વાસન અપ્યું છે.