સરકારે ફેમિલી પેન્શનમાં અઢી ગણો વધારો કર્યો છે. આ સુધારા હેઠળ ફેમિલી પેન્શનની લિમિટ 45,000 રૂપિયાથી વધારીને 1.25 લાખ રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે. જાણો નિયમ.
સરકારનું કહેવું છે કે આ પગલાંથી મૃતક કર્મચારીઓના પરિવારના સભ્યોનું જીવન સરળ બનશે, કારણ કે તેમને આર્થિક સુરક્ષા મળશે. અગાઉ આ રકમ મહત્તમ 45 હજાર રૂપિયા સુધી હતી. જે અઢી ગણાથી વધીને 1.25 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સ્પષ્ટીકરણ અનેક મંત્રાલયો અને વિભાગો તરફથી મળેલા સંદર્ભોના આધારે જારી કરવામાં આવ્યું છે.
— D/o Pension & Pensioners' Welfare , GoI (@DOPPW_India) August 16, 2021
એક જ વ્યક્તિને મળી શકે છે બે પેન્શનનો લાભ
મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમ, 1972ના નિયમ 54ના પેટા નિયમ (11) મુજબ, જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી છે અને આ નિયમની જોગવાઈ હેઠળ આવે છે, તો બંનેની મોત થવા પર તેમના બાળકને બે ફેમિલી પેન્શન મળશે.
અગાઉ આટલી હતી રકમ
અગાઉ આ રકમ મહત્તમ 45 હજાર અને 27 હજાર રૂપિયા પ્રતિ માસ હતી, જે છઠ્ઠા પગાર પંચની ભલામણો અનુસાર 50 ટકા અને 90 હજાર રૂપિયાની મહત્તમ ચુકવણીના 50 ટકા અને 30 ટકા હતી. અગાઉ સૂચના આપવામાં આવી હતી કે આવા કેસોમાં બે કુટુંબ પેન્શનની કુલ રકમ 45,000 રૂપિયા પ્રતિ માસ અને 27,000 રૂપિયા પ્રતિ માસ એટલે કે 50 ટકા અને 30 ટકાથી વધુ નહીં હોય. આ દર છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચ (CPC)ની ભલામણો અનુસાર મહત્તમ 90000 રૂપિયાના પગારના સંદર્ભમાં નક્કી કરવામાં આવ્યો હતો.
7મા પગાર પંચની ભલામણોના અમલ પછી, મહત્તમ પગાર દર મહિને 2.5 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે, જેથી કેન્દ્રીય સિવિલ સેવાઓ (પેન્શન)ના નિયમ 1972ના નિયમ 54માં પેટા નિયમ (11) હેઠળ રકમ પણ સુધારી દેવામાં આવી છે. સુધારા મુજબ, 2.5 લાખ રૂપિયાના 50 ટકા એટલે કે 1.25 લાખ રૂપિયા અને 2.5 લાખ રૂપિયાના 30 ટકા એટલે કે 75 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે.