બનાસકાંઠામાં કાણોદર હાઇવે પાસે દિયરે પારિવારિક ઝઘડામાં સગી ભાભીની ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે પોલીસે હત્યારા દીયરની અટકાયત કરી.
બનાસકાંઠામાં પારિવારિક ઝઘડામાં ભાભીની દિયરે કરી હત્યા
ભત્રીજી બહાર રમવા ગઇ હોવાના કારણે દિયરે આપ્યો હતો ભાભીને ઠપકો
ભાભીની હત્યા કરનારા દિયરની પોલીસે કરી અટકાયત
માનવ જીવનમાં નાની નાની વાતમાં ગુસ્સે ભરાઈ જઈ લોકો ઉશ્કેરાઈ જાય છે. જેને લઇને અમૂલ્ય જીવનને કારાગારમાં ધકેલી દેતા હોય છે. ત્યારે પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પાસે રહેતા ઠાકોર પરિવારમાં સગા દિયરે ભાભીની હત્યા કરી દીધી હોવાની ઘટના બની છે.
શું છે સમગ્ર મામલો?
કાણોદર ખાતે રહેતા બચુજી ધરમાજી ઠાકોર પેન્ટિંગનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, જેમની પુત્રી ગઈકાલે પડોશીના ઘરે રમવા ગઈ હતી. જે બાબતે દિયરે ભાભીને ઠપકો આપ્યો હતો. જોકે બીજા દિવસે બપોરના સમયે મંગુબેન તેમના ઘરે રસોઈ બનાવી રહ્યા હતા. તે સમયે તેમના દિયર દશરથ ઠાકોર ફરી પાછા તેમના ઘરે આવ્યા હતા. ગઈકાલની બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે દરમિયાન દશરથ ઠાકોર ઉશ્કેરાઈ જતા રસોઈ કરી રહેલા તેમના ભાભીના માથામાં ધારિયાના ઘા ઝીંકી દેતા મંગુબેન લોહીલુહાણ થઈ ત્યાં જ બેભાન થઈ ઢળી પડ્યા હતા. આ બનાવની જાણ થતાં જ મંગુબેનના પતિ અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્ત મંગુબેનને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા, પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ મંગુબેનનું રસ્તામાં કરુણ મોત થઈ ગયું હતું.
જોકે સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈ ભાભીની હત્યા કર્યા બાદ દશરથ ઠાકોર પોલીસ મથકે પહોંચીને પોતાને સરેન્ડર કર્યું હતું. જેથી પાલનપુર તાલુકા પોલીસે હત્યારા દિયરની અટકાયત કરી હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યારા દશરથ ઠાકોર સામે 302 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ સામાન્ય પારિવારિક ઝઘડામાં માતાનું મોત થતાં સંતાનો નોધારા બન્યા હતા તેમજ પરિવારમાં માતમ છવાયો છે.