ભાવનગરઃ લીલા સર્કલ નજીક આવેલી સત્યમ સોસાયટીમાં રહેતા અને અલંગમાં ક્રેપનો વેપાર કરતા એક વેપારીએ આર્થિક સંકડામણના કારણે પરિવાર સાથે આપઘાત કરી લીધો છે. વેપારીએ તેની પત્ની અને દીકરા સાથે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. જ્યારે 2 વર્ષની માસૂમ દીકરીનો બચાવ થયો છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસને વેપારીના ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી હતી.
જેની પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. વેપારી નિલેશભાઈ ઉપાધ્યાય અને તેમના પત્ની હિરલબેન અને પુત્ર ભાવિકનું મોત નિપજ્યું છે. વેપારીએ પત્ની અને પુત્ર સાથે ઝેરી દવા પી લીધી હતી. જ્યારે તેમની બાળકીને તેમાં બાકાત રાખી હતી.
જ્યારે તેમના બહેન સાંજે ઘરે આવ્યા ત્યારે કોઈએ દરવાજો ન ખોલતા કંઈક અજુગતું થયાની શંકા ગઈ હતી. જેથી પોલીસને જાણ કરી હતી. અંતે પોલીસે બારીનો કાચ તોડીને ઘરનો દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ્યા હતા. જ્યાં ઘરમાં એક સાથે ત્રણ મૃતદેહ પડ્યા હતા. જે જોઈને તેમની બહેનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
જોકે આ ઘટનામાં માસૂમ 2 વર્ષની દીકરી બચી ગઈ છે. જેને પોતાના માતા-પિતા ગુમાવ્યા છે. આ માસૂમને તો ખ્યાલ પણ નથી કે ઘરમાં શું થઈ ગયું છે. આપઘાતની આ ઘટનામાં એક હસતો રમતો પરિવાર વિખેરાઈ ગયો. કારણ જે પણ હોય પરંતુ આપઘાત એ કોઈપણ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ નથી.