રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 725 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરતમાં 254 નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં પણ આજે 177 કેસ નોંધાયા છે. તેવામાં હવે અમદાવાદના CTMના ન્યૂ વૈકુંઠ ફ્લેટમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક જ પરિવારના 10 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે.
CTMના ન્યુ વૈકુંઠ ફ્લેટમાં કોરોના વિસ્ફોટ
એક જ પરિવારના 10 લોકોને કોરોના પોઝિટિવ
ન્યુ વૈકુંઠ ફ્લેટ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર
અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,892 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 101 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,610 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 9 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1484 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3683 એક્ટિવ કેસ છે. ત્યારે હવે અમદાવાદના CTM વિસ્તારમાં વડોદરા એક્સપ્રેસ હાઇવે પાસે આવેલા વૈકુંઠ ફ્લેટમાં એક જ પરિવારના 10 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઇને ન્યુ વૈકુંઠ ફ્લેટ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયું છે. તો ફ્લેટને ક્વોરન્ટાઇન કરી ટેસ્ટિંગ પણ હાથ ધરાયું છે. મુલાકાતીઓને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા આ બિલ્ડિંગમાં નોટિસ લગાવવામાં આવી છે.
11 નવા વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર
અમદાવાદ શહેરના અગાઉ જાહેર કરવામાં આવેલ 99 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર સહિત 11 નવા વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા?
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 725 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 36,123 પર પહોંચ્યો છે. તો 24 કલાકમાં 486 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 25,900 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 18 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,945 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. રાજ્યમાં હાલ કોરોનાના કુલ 8278 એક્ટિવ કેસ છે.