પુલવામા થયેલો આતંકી હુમલો ભારત પર કોઈ પહેલો આતંકી હુમલો નથી. આઝાદી બાદ અડધી સદીથી યુદ્ધ વગર જ અનેક જવાનો શહીદ થતા આવ્યા છે. જોકે બે દેશો વચ્ચેના યુદ્ધમાં પણ શહીદ થનારા સૈનિકોની સંખ્યા પણ નાની સૂની નથી પરંતુ આ સંખ્યા જેટલી આંખે ઉડીને વળગે છે તેટલું ધ્યાન શહીદોની વિધવા બનેલી સ્ત્રીઓ તરફ જતું નથી. કારણ કે સરહદો પરના મારો-કાપોના શોરમાં શહીદોની પત્નીઓ અને તેમની માતાઓની હૃદય વિદારક ચીખ કોઈને સંભળાતી નથી.
મારો...મારો અને કાપો...કાપો ના શોર વચ્ચે...
પુલવામામાં થયેલા આતંકી હુમલા અને તેમાં જવાનો શહીદ થયા બાદ સમગ્ર દેશવાસીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. દેશના નાગરિકો જુદી જુદી રીતે પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે. નેતાઓ જડબાતોડ જબાવ આપવાનો વ્યૂહ ઘડી રહ્યા છે તો સરહદ પર તહેનાત જવાનો દુશ્મન દેશ પર વળતો પ્રહાર કરવા આદેશની રાહ જોઈ રહ્યા છે. ટૂંકમાં દેશ અને દેશની સરહદો પર એમ બન્ને જગ્યાએ બદલાની ભાવનાનો શોર સંભળાઈ રહ્યો છે. તો દુશ્મન દેશ પણ ચૂપ નહીં બેસવાની ધમકી ઉચ્ચારી રહ્યો છે. આ મારો...મારો અને કાપો...કાપો ના શોર વચ્ચે સરહદ પર તૈનાત જવાનો અને શહીદી વહોરી ચૂકેલા જવાનોની પત્નીઓ અને માતાઓની વાત સાંભળવાની કોઈને ફૂરસત નથી. અથવા કહો કે તેમની ચિલ્લાતી ખામોશી કોઈને સંભળાતી નથી.
આ દેશદાઝના શોર વચ્ચે ગુજરાતના દ્વારકામાં સૈનિકની પત્નીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને મોતને વહાલું કરી લીધું. કેમકે હજુ હમણાં જ ઘેર રજા પર આવેલા તેના પતિને રજા ટૂંકાવી તણાવગ્રસ્ત કાશ્મીરમાં ફરજ પર હાજર થવાનું ફરમાન થયું હતું. તેની પત્ની માટે કાશ્મીરનો આ તણાવ યુદ્ધથી ઓછો ન હતો. 42 સૈનિકોના મોતની ઘટના બાદ તે એટલી તો હતાશ થઈ ગઈ હતી કે તે પતિને સરહદ પર જવા જ દેવા માગતી ન હતી.
શહીદ થયેલા સૈનિકોની 44 માતાઓ અને 40 પત્નીઓની હ્રદય વિદારક ચીખ
આ સ્થિતિ માત્ર દ્વારકાના જ એક સૈનિકની પત્નીની નથી. જેમ દ્વારકાના એક સૈનિકની પત્નીની વેદના પોતાના જીવન સાથે શમી ગઈ છે તેમ આઈડી બ્લાસ્ટમાં માર્યા ગયેલા મેજર ચિત્તરેશ બિષ્ટની માં અને તેની ભાવિ પત્ની પત્નીનો ગમ પણ સરહદ પરના મારો મારોના શોરમાં દબાઈ ગયો છે. તો આંતકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા વિભૂતિ શંકર ઢોંડિયાલની પત્ની અને તેમની માતાના અરમાનો પણ શહીદની ચિંતા સાથે જ રાખ થઈ ગયા છે. આ વાત માત્ર શહીદોની બેચાર પત્નીઓની જ નથી. અનેક આતંકી હુમલા અને ઐતિહાસિક યુદ્ધોમાં હણાઈ ચૂકેલા તમામ શહીદોની પત્નીની વેદનાની છે.
કેમ કે તે કોઈપણ દેશની નાગરિક પહેલા કોઈની પત્ની છે... કોઈની માતા છે... સૈનિકોને હાથમાં બંદૂક આપી સરહદ પર હજારો કિલોમીટર દૂર મોકલતી પત્નીઓ અને માતાઓનું દુઃખ અને દર્દ માત્ર મોબાઈલ પર વાતચીતથી વહેંચાઈ જતુ નથી. ઊલટાનું જ્યારે સરહદ પરથી મારો-કાપોની બૂમ ઘર સુધી સંભળાય છે ત્યારે શહીદોની પત્નીઓને નજર સામે અંધકાર સિવાય કશું દેખાતું નથી. પુલવામાં હુમલામાં શહીદ થયેલા સૈનિકોની 44 માતાઓ અને 40 પત્નીઓ હતાશ થઈ ગઈ છે. આવા જ અન્ય લાખો સૈનિકોને શહીદીનું બિરુદ આપવા ઉત્સુક દુનિયાભરનું જમીન અને સત્તાભૂખ્યું ટોળું જાણે કે નારીનું અસ્તિત્વ જ નકારી રહ્યું છે.
ઈતિહાસ સાક્ષી છે કે કોઈપણ યુદ્ધની પીડિતા તો અંતે મહિલાઓ જ હોય છે
હકીકતમાં યુદ્ધ કોઈપણ દેશ વચ્ચે થાય તેમાં મહિલાઓએ જ ભોગ બનવું પડે છે. ઈતિહાસ સાક્ષી છે કે કોઈપણ યુદ્ધની પીડિતા તો અંતે મહિલાઓ જ હોય છે. કેમ કે સૈનિકોનું મોટાભાગનું જીવન ઘરથી દૂર સરહદ પર વીતે છે. સૈનિકો લગ્ન કરે છે... બાળકો જન્મે છે... સૈનિકો સરહદ મોરચે લડે છે પરંતુ ગૃહમોરચે તો આજીવન તેમની પત્નીઓએ જ લડવું પડે છે. અત્યારે સમગ્ર દુનિયામાં સરહદ પર વગર યુદ્ધે પણ કાયમ યુદ્ધ જેવો જ તણાવ જોવા મળે છે. જેની સીધી અસર સૈનિકોના પરિવારજનો પર પડે છે. વૃદ્ધ માતાઓ સૈનિક પુત્રની રાહ જોતી જોતી જ મરી જાય છે તો સૈનિકની પત્નીઓ વિધવાઓની જેમ જીવન પસાર કરતી હોય છે. આ તો સામાન્ય દિવસોની વાત થઈ પરંતુ જ્યારે યુદ્ધ થાય છે ત્યારે પણ મહિલાઓ જ વધારે ભોગ બને છે. ઈતિહાસ પર નજર નાખશો તો જણાશે કે યુદ્ધો દરમિયાન અનેક સ્ત્રીઓ પર બળાત્કારની ઘટનાઓ બની હતી. કોઈ બુદ્ધિજીવી મહિલા જ્યારે યુદ્ધના ખ્યાલને ખરાબ ગણાવે છે ત્યાર તેને પણ બળાત્કારની ધમકી આપવામાં આવે છે. ઈતિહાસ સાક્ષી છે કે યુદ્ધ અને જમીનની ભૂખની આડમાં અંતે તો સ્ત્રીઓને શોષણનું સાધન બનાવવામાં આવે છે. તેમ છતાં કોઈ યુદ્ધથી કાયમી શાંતિ સ્થાપાઈ હોય તેવો કોઈ પુરાવો નથી.
પુલવામા આંતકી હુમલાથી પીડિત બનેલી એ 40 માતાઓ શું વિચારતી હશે? શું આપણે આપણી આસપાસ આંખો પર પટ્ટી બાંધેલી અને પુત્રોની લાશો શોધતી ગાંધારીઓને જોવા માગીએ છીએ? શું આ દેશને એવો શાપ લાગી ગયો છે કે અહીંયા પુત્રો અકાળે જ મોતને ભેટતા રહેશે? શાંતિથી વિચારશો તો સમજાશે કે યુદ્ધથી ક્યારેય કાયમી શાંતિ સ્થાપાઈ નથી. જો એમ હોત તો આજે આ સ્થિતિ ન હોત...