ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે હવે નકલી પોલીસ કે કોઈ ઉચ્ચ અધિકારી નહીં પરંતુ હવે તો નકલી જજ બનીને છેતરપીંડી કરવાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ નકલી જજનો પર્દાફાશ કોર્ટમાં જ થયો હતો. શું છે આ નકલી જજની ઘટના?
ગુજરાતીમાં એક કહેવત છે કે લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે, અત્યાર સુધીમાં નકલી પોલીસના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હતાં. જો કે હવે અમદાવાદમાં નકલી જજનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ નકલી જજ બનનાર ઠગે હદ જ વટાવ દીધી છે અને હું પોતે જ જજ છુ સમજીને આવા કૃત્યને અંજામ આપ્યો છે.
હાઇકોર્ટના નકલી જજ બનીને લોકોની મિલકત પચાવી પાડનાર સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. બળદેવ પટેલ નામના શખ્સે નકલી જજ બની અને ઘાટલોડિયાના શાહ દંપતીને અચાનક ઘરની બહાર કાઢી મુક્યાં હતાં. નકલી જજ બનેલા શખ્સે પોલીસ પ્રોટેક્શન સાથે 15 માણસોને મૂળ ફ્લેટ ધારકને ઘરે મોકલીને તાજેતરમાં જ ઓપરેશન કરાવેલ મહિલાનો ફ્લેટ સીલ કરાવી દીધો હતો. જેની ફરિયાદ હાઇકોર્ટમાં કરાતા કોર્ટ પણ ચોંકી ઊઠી હતી. કોર્ટે પોલીસ અને કલેક્ટરને આદેશ કરીને મૂળ ફ્લેટ ધારકને તેનો ફ્લેટ પરત અપાવ્યો છે.
ઘાટલોડિયાના રામેશ્વર એપોર્ટમેન્ટમાં રહેતા સુરેશ શાહે વતી એડવોકેટ અજય પાંડાએ એવી દલીલ કરી હતી કે, ધ્રુવ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન બળદેવ પટેલે પોતે હાઇકોર્ટના જજ તરીકે નીમાયેલા છે તેથી તમારો ફલેટ સીલ કરવાનો છે તેવો પત્ર લખીને પોલીસ પ્રોટેકશન સાથે ફ્લેટ સીલ કરાવી દીધો હતો. પોલીસે પણ આરોપી બળદેવ પટેલને જજ માનીને મદદ કરી હતી. હાઇકોર્ટે પોલીસને તાત્કાલિક ફ્લેટ પરત અપાવવાનો નિર્દેશ કર્યો છે.