ફાયરબ્રિગેડ પ્રજાના જાનમાલની હિફાજત માટે સદા તત્પર હોય છે. મુસીબતમાં ફસાયેલા નાગરિકોનો એક ફોન રણકે અને પોતાના કાફલા સાથે ફાયરબ્રિગેડના કર્મીઓ ઘટનાસ્થળે દોડી જતાં હોય છે. પરંતુ તેમની આ ફરજમાં કંઈ રુકાવટ પણ ઓછી નથી. અને આ રુકાવટ ટેકનિકલ કરતાં કેટલાંક વિધ્નસંતોષી નાગરિકો દ્વારા જ ઊભી કરવામાં આવતી હોય છે.
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. શહેરોમાં વૃક્ષો પડી જવાના અને મકાનો ધ્વસ્ત થઈ જવાના કે આગ લાગવાના બનાવો ગમે ત્યારે બની શકે છે. જો આ સ્થિતિને પહોંચી વળવા માટે શહેરોમા ફાયરબ્રિગેડ તંત્ર સદા સજ્જ હોય છે. કોઈ સ્થળે અકસ્માત સર્જાયાની ઘટના બને અને તેનો ફાયરબ્રિગેડની ઓફિસમાં મદદ માગતો ફોન રણકે તો તરત જ લોકોના જાનમાલની હિફાજત માટે ફાયર બ્રિગેડના સૈનિકો દોડી જતાં હોય છે અને નાગરિકોને મોતના મુખમાંથી બચાવતા હોય છે. પરંતુ ફાયરબ્રિગેડના સૈનિકોના જુસ્સા પર કેટલાક વિકૃત તત્વો પાણી ઢોળવાનું કામ કરતાં હોય છે.
ફાયર બ્રિગેડની સેવા માટે નિશુલ્ક ટોલ નંબર આપેલા છે. જેનો કેટલાક નાગરિકો દુરુપયોગ કરતાં હોય છે. ક્યારેક તેઓ ફાયરબ્રિગેડના ફોન પર સાવ વાહિયાત વાતો કરવા લાગે છે તો ક્યારેક તેઓ બનાવટી ગંભીર ફોન કરીને ફાયરબ્રિગેડના કર્મચારીઓને ગેરમાર્ગે દોરવા લાગે છે.
ભરુચ શહેરના ફાયરબ્રિગેડ કર્મીઓ પર અનેક ફેક કોલ આવતા હોય છે. આ વાત આપણે ભલે ભરુચ શહેરના ફાયરબ્રિગેડના કર્મીઓને પડતી હાલાકીઓની કરતાં હોઈએ પરંતુ આ સમસ્યા રાજ્યના તમામ શહેરોના ફાયરવિભાગને સતાવતી રહે છે. ચોમાસાની ઋતુમાં ભરુચ નગર પાલિકાના ફાયરબ્રિગેડ તંત્ર પર હાલ આવતા કોલની સંખ્યામાં વધારો થાય છે અને તેઓ રાત દિવસ એક કરીને પોતાની ફરજ બજાવતા હોય છે પરંતુ તેઓના માથે ફેક કોલની આફત સતત રહેતી હોય છે. જે ઘણીવાર તેમની ફરજમા રુકાવટ ઊભી કરે છે અને તેમને ગેરમાર્ગે પણ દોરે છે.
ફાયર બ્રિગેડ પર ફેક કોલના કારણે અહીંયા ફરજ બજાવતા ફાયરના જવાનોની ઊંઘ હરામ બની છે. કેટલાક ટીખળખોર તત્વો જાણે કે આ ફાયરના નિશુલ્ક ટોલ નંબરને ટાઈમપાસ માટેનું સાધન સમજે છે. આવા ફેક કોલ કરવામાં જેટલા યુવકો સક્રિય છે એટલા જ પ્રમાણમાં યુવતીઓ પણ આજકાલ સક્રિય બની છે. જેના કારણે કેટલાક મહત્વના કોલ રિસીવ થવામાં વિલંભ થાય છે અને સાચા ઘટનાસ્થળ પર પહોંચવામાં ફાયર બ્રિગેડને મોડું થાય છે. પરિણામે જાનમાલને ગંભીર નુકસાન થાય છે. પરિણામે મોડા પહોંચનારા ફાયર કર્મીઓને લોકોના રોષનો ભોગ બનવું પડે છે. આ પ્રમાણે થતી હેરાનગતિના કારણે કોઈ દિવસ મોટી ઘટનામાં પણ ગફલત થઇ જતી હોય છે.
આ પ્રકારના કોલ કરનારા જો આ અહેવાલથી વાકેફ થઇ રહ્યા હોય તો તેઓ માટે આ સંદેશો ખાસ છે. અને એ લોકો માટે પણ કે જેઓ દર વખતે ફાયરબ્રિગેડને જવાબદાર ઠેરવે છે. આવા ટીખળખોર કે અસામાજિક તત્વોની આ વિકૃતિ કોઇનો જીવનદીપ બુઝાવાનું કારણ બની શકે છે. કોઈના ઇમરજન્સી કોલને અટકાવી રાખતા તમારા આ ફેક કોલ કોઈ મોટી હોનારત સર્જી શકે છે. કોઈને જીવનદાન ન આપી શકીયે તો ભલે પણ કમસે કમ કોઈના મૃત્યુ માટેનું કારણ ન બનીયે તો એ પણ એક નાગરિક તરીકેની જ સેવા છે.