1 એપ્રિલે થયેલી નંદીગ્રામ બેઠકની ચૂંટણીમાં ગરબડ થઈ હોવાનો મમતા બેનરજીનો આરોપ ચૂંટણી પંચે નકારી કાઢ્યો છે.
મમતાએ નંદીગ્રામ બેઠકની ચૂંટણીમાં ગરબડનો આરોપ લગાવ્યો હતો
ચૂંટણી પંચે મમતાના આરોપને આધારવિહન ગણાવ્યો
મમતાને આપ્યો 6 પાનાનો જવાબ
મમતાની સામે આચારસંહિતાના ઉલ્લંઘનની કાર્યવાહી કરવાનું જણાવ્યું
બંગાળના સીએમ મમતા બેનરજીને 6 પાનાનો જવાબ આપતા ચૂંટણી પંચે જણાવ્યું કે મમતા બેનરજીના આક્ષેપ તથ્યાત્મક રીતે ભૂલભરેલા અને અસત્ય છે. મમતા બેનરજીના આરોપ કોઈ પણ જાતના આધાર પુરાવા વગરના તથા બિનતથ્યાત્મક છે અને તેમાં કોઈ વજૂદ નથી.
મમતાની સામે આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનની કાર્યવાહી થઈ શકે છે
ચૂંટણી પંચે એવું પણ જણાવ્યું કે મમતાની સામે આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન અને જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે. મમતાએ નંદીગ્રામમાં એક સરકારી સ્કૂલમાં આવેલા પોલિંગ બૂથ નંબર 7 માં ગરબડનો આરોપ લગાવ્યો હતો. આયોગે મમતાને છ પાનાનો જવાબ પણ આપ્યો હતો. ચૂંટણી પંચે સવારના 5 વાગ્યાના મોક ડ્રીલ, 7 વાગ્યાના મતદાનથી માંડીને મતદાન પૂરુ થયા સુધીની વિગતો આપી છે. ચૂંટણી પંચે મમતાના આરોપનો ઈન્કાર કરતા સીસીટીવી ફૂટેજનો પણ પુરાવો આપ્યો છે અને કહ્યું કે સમગ્ર મતદાન દરમિયાન ભાજપ, સીપીએમ અને એક અપક્ષ ઉમેદવારના એજન્ટ બૂથની અંદર હતા. ડ્યુટી પર તહેનાત પેરા મિલિટરી ફોર્સના જવાનો બૂથની અંદર ગયા નહોતા કે કોઈ મતદાતાઓને પણ અંદર જતા રોક્યા નથી.
પોલીસ અધિકારીઓની સામે ભાજપના બહારના ગૂંડાઓએ બૂથ કબજે લઈ લીધું હતું-મમતાનો આરોપ હતો
મમતા બેનરજીએ એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસ અધિકારીઓની સામે ભાજપના બહારના ગૂંડાઓએ બૂથ કબજે લઈ લીધું હતું. બૂથ નંબર 7 માં આ ઘટના બની હોવાનો મમતાએ આક્ષેપ કર્યો હતો. મમતાએ કહ્યું હતું કે ચૂંટણી શાંતિપૂર્ણ, ન્યાયી અને વ્યવસ્થિત રીતે યોજાય તે માટે હું મારી વ્હીલચેરમાં બુથ નં. 7 ની સામે એક ઉમેદવાર તરીકે બેસી રહી હતી. પરંતુ ગામમાંથી કોઈને પણ વોટિંગ બૂથની અંદર જવા દેવાયા નથી ત્યાં સુધી કે ચૂંટણી એજન્ટને પણ અંદર જવા દેવાયા નહોતા.
સુરક્ષા દળો ભાજપને મદદ કરી રહ્યા છે : બંગાળ સીએમ મમતા બેનરજી
નંદીગ્રામના બોયલા 2 મતદાન મથક પર 2 કલાક રવાના થયા પછી મમતા બેનર્જીએ ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે, પેરા સૈન્ય કંપનીઓ ભાજપને મદદ કરી રહી છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આનાથી ખરાબ ચૂંટણી મેં કદી જોઇ નથી. મતદાનના દિવસે વડા પ્રધાન મોદી બંગાળમાં કેવી રીતે રેલી કરે છે, શું આ ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન નથી? મમતાએ કહ્યું, "અમે શેષાનનો સમય જોયો છે પરંતુ અમે ક્યારેય આવી ખરાબ ચૂંટણી જોઇ નથી. નંદીગ્રામ નહીં પરંતુ લોકશાહીની ચિંતા કરો."