વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોનાની ત્રણ મોટી ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. સોમવારે સાંજે લગભગ સાડા ચાર વાગ્યે PM મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ ત્રણેય લેબ્સને ગ્રીન સિગ્નલ આપી રહ્યા છે. એવી અપેક્ષા છે કે આ લેબ્સ દ્વારા ભારતને કોરોનાવાયરસ ચેપ સામે લડવાની વધુ તાકાત મળશે. ભારતે આગામી દિવસોમાં દરરોજ 10 લાખ કોરોના પરીક્ષણોનું લક્ષ્યાંક રાખ્યું છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ લેબ્સ ભારતને આ લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરશે.
આ લેબ્સ ખૂબ અદ્યતન કોબાસ 8800 મશીનોથી સજ્જ છે. આ સંપૂર્ણ ઓટોમેટિક મશીનો છે. આ 15 બાય 7 ફૂટ મશીનની કિંમત લગભગ સાત કરોડ રૂપિયા છે, જે દરરોજ ત્રણ હજાર નમૂનાઓ ચકાસી શકે છે. કોરોના મહામારી સમાપ્ત થયા પછી આ મશીનોનો ઉપયોગ હેપેટાઇટિસ બી અને સી, HIV, માયકોબેક્ટેરિયમ, TB અને ડેન્ગ્યુ જેવા રોગોના પરીક્ષણ માટે કરવામાં આવશે.
શું છે આ લેબની ખાસિયતો?
ICMRની આ 3 લેબ નોએડા, મુંબઈ અને કોલકાતામાં સ્થિત હશે.
ટેસ્ટની ક્ષમતા: આ લેબ્સની મદદથી કોરોનાના ટેસ્ટિંગમાં ઝડપ આવશે. આ ત્રણેય લેબમાં કુલ મળીને 1,00,000 સેમ્પલ દરરોજ ટેસ્ટ કરવામાં આવશે.
આધુનિક લેબ: ટેસ્ટિંગ ફેસિલિટી દ્વારા પરીક્ષણ કરવામાં ઓછો સમય લાગશે અને લેબ સ્ટાફ સંક્રમણવાળી વસ્તુઓ સાથે ઓછામાં ઓછા સંપર્કમાં આવશે.
ઈલાજ કરવામાં તેજી: PMOના જણાવ્યા પ્રમાણે આ ત્રણેય સેન્ટર આવવાથી દેશમાં કોરોનાના ટેસ્ટની ક્ષમતા વધશે જેના પગલે બીમારીના શરૂઆતથી જ નિદાન થઇ જશે જેથી તેના ઈલાજ માટે વધુ સમય મળી રહે.
બીજી બીમારીઓની પણ તપાસ કરવામાં આવશે: કોરોના મહામારી સમાપ્ત થયા પછી, આ લેબ્સ અન્ય રોગોની પણ ચકાસણી કરશે. અહીં હેપેટાઇટિસ બી અને સી, HIV, માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ (TB), સાયટોમેગાલોવાયરસ, ક્લેમાઈડીયા, નિઇસેરિયા અને ડેન્ગ્યુની પણ તપાસ કરી શકાશે.
પરીક્ષણમાં તેજી: આ દિવસોમાં દરરોજ આશરે 50 હજાર નવા કેસ બહાર આવી રહ્યા છે. આનું સૌથી મોટું કારણ દેશભરમાં કોરોનાના વધી રહેલા ટેસ્ટિંગ છે. 25 જુલાઈના રોજ ભારતમાં 4,42,263 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. આ આજ સુધીની સૌથી મોટી આંકડો છે. આગામી દિવસોમાં તપાસને વધુ વેગ આપવામાં આવશે. એવી અપેક્ષા છે કે આગામી કેટલાક મહિનાઓમાં, દરરોજ લગભગ 10 લાખ ટેસ્ટ કરવામાં આવશે.