મુંબઇઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એક દિવસ પહેલા જાહેરાત કરી હતી કે તેઓ 25 નવેમ્બરે અયોધ્યામાં રામ મંદિર મુદ્દે જનાગ્રહ રેલીનું આયોજન કરશે. તે જ દિવસે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ રામ મંદિર નિર્માણ મુદ્દે જોર આપવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. આરએસએસ તરફથી 25 નવેમ્બરે જ અયોધ્યામાં રેલીનું આયોજન શિવસેનાને પસંદ ન આવ્યું.
કેટલીક પાર્ટીઓનું માનવું છે કે 2019 લોકસભા ચૂંટણીમાં રામ મંદિર મોટો મુદ્દો બનવા જઇ રહ્યો છે. આ જ મુદ્દે આરએસએસ તરફથી 25 નવેમ્બરે જ અયોધ્યામાં જનાગ્રહ રેલીના આયોજનને વિશ્વ હિન્દુ પરિષદનું પણ સમર્થન છે. આવી રેલીઓનું આયોજન નાગપુર અને બેંગલુરૂ જેવા શહેરોમાં પણ થશે. જેમાં હજારો સાધુ-સંતો ભાગ લે તેવી શક્યતાઓ છે. 25 નવેમ્બરે જ શિવસેના અયોધ્યામાં મોટું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે.
શિવસેનાના પત્રક સામનામાં પાર્ટીએ આરએસએસની જનાગ્રહ રેલીની તારીખને લઇને કેટલાક સવાલો કર્યા છે. લેખમાં કહ્યું છે કે આ જનાગ્રહ રેલીથી કંઇ નથી થવાનું. જો આવી સુકી રેલીથી રામ મંદિર નિર્માણમાં મદદ મળત તો 25 વર્ષ પહેલા આટલા બધા કારસેવકોને અયોધ્યામાં જીવ કેમ ગુમાવવો પડ્યો. લોકોને આનો જવાબ જોઇએ.
વધુમાં કહ્યું કે સૌથી મહત્વનું એ છે કે આરએસએસની જનાગ્રહ રેલી માટે તારીખ કોણે નક્કી કરી. જેણે આરએસએસને કહ્યું છે 25 નવેમ્બરે જનાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવે તેના નામનો ખુલાસો કરવામાં આવે. શિવસેનાએ અયોધ્યામાં 25 નવેમ્બરે પોતાના કાર્યક્રમનો નિર્ણય બહુ પહેલા દશેરા રેલીમાં જ લઇ લીધો હતો. આરએસએસે તે જ દિવસે જનાગ્રહ રેલી રાખવાનો નિર્ણય કેમ કર્યો? આરએસએસે આ વીશે પહેલા કેમ ન વિચાર્યું?
શિવસેનાએ પહેલા પણ કહી ચૂકી છે કે ભાજપ સરકાર બહુ પહેલા જ રામ મંદિરનું નિર્માણ કરી શકતી હતી પરંતુ તે માત્ર ચૂંટણીમાં જ આ મુદ્દાનું નામ લે છે. તે પણ માત્ર નામ માટે. શિવસેનાના અનુસાર ભાજપ રામ મંદિર નિર્માણ માટે ગંભીર નથી.
સૂત્રોનું કહેવું છે કે આરએસએસ જો એજ દિવસે અયોધ્યામાં રેલી કરે છે જે દિવસ શિવસેનાનો પણ ત્યાં કાર્યક્રમ છે તો શિવસેનાના કાર્યક્રમને વધુ સમર્થન નહીં મળે. અહીં એ પણ જોવું જરૂરી છે કે મહારાષ્ટ્રમાં શિવસેના ઉત્તરભારતીઓને નિશાન બનાવતી રહી છે. હવે શિવસેનાએ અયોધ્યામાં કાર્યક્રમ રાખ્યો છે તો ત્યાં તેને કઇ રીતે સમર્થન મળે છે.