અમેરિકાની વિમાન બનાવનારી દિગ્ગજ કંપની લોકહીડ માર્ટિને જણાવ્યું છે કે જો ભારતીય વાયુ સેના તરફથી 114 એફ-21 વિમાનને લઇને સમજૂતિ કરાર કરવામાં આવશે તો તેઓ કોઇ બીજા દેશને આ વિમાનનું વેચાણ કરશે નહીં. જો કે ખરેખર તો આમ કરીને કંપનીનો હેતુ પોતાના અમેરિકી, યુરોપીય અને રશિયાના હરિફોથી આગળ રહેવાનો છે.
લોકહીડ માર્ટિનના બિઝનેસ ડેવલપમેન્ટના ઉપાધ્યક્ષના જણાવ્યા અનુસાર જો એફ-21 વિમાન બનાવવાને લઇને સમજૂતિ કરાર થશે તો ભારતને પણ કંપનીના 165 અરબ ડોલરના વૈશ્વિક લડાખૂ વિમાનના વેપારનો લાભ મળશે. ઉપાધ્યક્ષના કહ્યા અનુસાર નવા એરક્રાફટ ભારતના 60થી વધુ સેનાના સ્થાન પરથી ઉડાન ભરવાની ક્ષમતાને નજરમાં રાખી ડિઝાઇન કરવામાં આવ્યાં છે.
જેમાં મુખ્યત્વે ઉત્કૃષ્ટ એન્જિન મેટ્રિક્સ, ઇલેક્ટ્રોનિક યુધ્ધક તંત્ર અને શસ્ત્ર વાહકની ક્ષમતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા જણાવામાં આવ્યું છે કે અમે આ સિસ્ટમ તેમજ વિમાન અન્ય કોઇપણ દેશને વેચાણ નહી કરીએ. આ લોકહીડ માર્ટિન કંપનીનું મહત્વપૂર્ણ વચન છે. ઉલ્લેખનીય છે કે ગત મહીને ભારતીય વાયુસેનાએ 18 અરબ ડોલરના 114 જેટ માટે રિકવેસ્ટ ફોર ઇન્ફર્મેશન (આરએફઆઇ) અથવા પ્રારંભિક ટેન્ડર બહાર પાડ્યું હતું.
જો કે એવો દાવો કરવામાં આવે છે કે આ હાલના વર્ષોમાં દુનિયાનો સૌથી મોટું સૈન્ય કરાર હશે. અમેરિકાની કંપની લોકહીડ માર્ટિને જણાવ્યું છે કે અમારી કંપનીને વિમાન બનાવવાની મંજૂરી મળશે તો અમે ટાટા ગ્રુપ સાથે મળીને અત્યાધુનિક એફ-21નું કારખાનું લગાવીશું, પરંતુ ભારતમાં સૈન્યના સામાનના વિકાસમાં પરિતંત્ર બનાવામાં મદદ પણ કરીશું.