જમ્મૂ-કશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં નવો ખુલાસો સામે આવ્યો છે. જૈશ એ મોહમ્મદના આતંકીએ કરેલા આત્મઘાતી હુમલામાં વર્ચ્યુઅલ સિમનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યુ છે. આતંકી પાકિસ્તાન અને કાશ્મીર સ્થિત હેન્ડલરો સાથે આ જ વર્ચ્યુઅલ સિમથી સંપર્કમાં હતો.
અધિકારીઓ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ વર્ચ્યુઅલ સિમ સેવા પ્રદાન કરતી કંપનીની જાણકારી માટે ભારતે અમેરિકાની મદદ માગી છે.
તપાસમાં એવું સામે આવ્યું કે અમેરિકા સ્થિત સિમ સેવા પ્રદાન કરતી કંપની પાસેથી આ સિમ ખરીદવામાં આવ્યું હતું. આતંકી હુમલાની જગ્યાની તપાસ કરતા અને અન્ય અથડામણની જગ્યાઓ તથા વિવિધ જગ્યાએથી મળેલી કડીઓમાં આ ખુલાસો થયો છે.
એવું પણ જાણવા મળ્યુ કે ફિદાયીન આદિલ ડાર સીમા પર પોતાના આકાઓ સાથે સતત સંપર્કમાં હતો. તો પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ મુદ્દાસિર ખાન ત્રાલમાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. જે બાદ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી.