સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના સિન્ડિકેટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. VNSGU દ્વારા કુલપતિની ખર્ચ કરવાની સત્તા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે.
VNSGUના સિન્ડિકેટ દ્વારા મહત્વનો નિર્ણય
કુલપતિની ખર્ચ કરવાની સત્તા ઉપર કાપ મુકાયો
વિવિધ વિભાગના ખર્ચ કરવાની સત્તા પર પણ કાપ
યુનિવર્સિટીના નિર્ણય બાદ હવેથી કુલપતિ મહિને 1 લાખ અને વાર્ષિક 12 લાખથી વધુ ખર્ચ નહીં કરી શકે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે-સાથે ઓર્ડિનન્સમાં પણ સુધારો કરાયો છે. રજીસ્ટર ફેકલ્ટીડીન અને મુખ્ય હિસાબી અધિકારીના ખર્ચની પણ મર્યાદા નક્કી કરાઇ છે. તદુપરાંત નાયબ કુલ સચિવ, આચાર્ય અને કોર્ડીનેટર સહિતના ખર્ચની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે.
કુલપતિની સત્તા 5 લાખથી હવે 1 લાખ કરી દેવાઈ
વધુમાં જણાવી દઇએ કે, નર્મદ યુનિવર્સિટીમાં કલાક આધારિત કર્મચારીઓની ભરતી કરીને કરોડોનો ધુમાડો કર્યા બાદ હવે નાણાંનો વેડફાટ ન થાય એ માટે સિન્ડિકેટે કુલપતિ સહિતના અધિકારીઓના ખર્ચની મર્યાદા નક્કી કરી દીધી છે. કુલપતિની સત્તા 5 લાખ પરથી હવે 1 લાખ કરી દેવાઈ છે. જ્યારે 5 લાખ સુધીનો ખર્ચ કરવો હોય તો ટેન્ડર મંગાવવા પડશે. કુલસચિવ અને પરીક્ષા નિયામકને વિભાગો માટે 70 હજાર, જ્યારે 3 લાખ સુધીનો ખર્ચ કરવો હોય તો ટેન્ડર ફરજિયાત રહેશે. વાર્ષિક 5 લાખનો ખર્ચ હોય ત્યારે દરેક કિસ્સામાં 70 હજારથી વધુ ખર્ચી શકશે નહીં.
અધિકારીઓના ખર્ચની મર્યાદા પણ નક્કી કરાઈ
તદુપરાંત મુખ્ય હિસાબી અધિકારીને 15,000, મદદનીશ કુલ સચિવને 5,000, સ્નાતક વડાને 20,000, આચાર્યને 8000 અને કોઓર્ડીનેટરને 10,000 સુધીની સત્તા રહેશે. તમને જણાવી દઇએ કે, સિન્ડિકેટે ખરડામાં બદલાવ કરી 1 ઓક્ટોબરથી નવા નિયમ લાગુ કર્યા છે.
કોલેજને IQAC કમિટી બનાવવા તાકીદ કરવામાં આવી છે. વધુમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા આ કમિટીના નિર્ણય મહત્વના રહે છે. યુનિવર્સિટીએ કોલેજોને IQAC કમિટી બનાવવા અંગેની સૂચના આપી છે. જેમાં ડાયરેક્ટર કમિટી મેમ્બર મેનેજમેન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એક્સપોર્ટની નિમણૂંક કરવાની રહેશે.