સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, મોદી સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થઈ શકે છે. મંત્રીઓના કામની હાલમાં સમીક્ષા ચાલી રહી છે, નબળા કામ કરનારા મંત્રીઓને પત્તા કપાઈ જશે, તેવી હાલમાં વાત મળી છે.
કેન્દ્રીય કેબિનેટમાં મોટા ફેરફારના સંકેત
મંત્રીઓના કામકાજની થઈ રહી છે સમીક્ષા
નબળા કામવાળા મંત્રીઓને કરી શકે છે ઘરભેગા
કેન્દ્રીય કેબિનેટનો ટૂંક સમયમાં વિસ્તાર થશે. મોદી સરકારના મંત્રીઓના કામકાજની સમીક્ષા થઈ રહી છે. સમાચાર એવા આવી રહ્યા છે કે, ખરાબ રિપોર્ટ કાર્ડવાળા મંત્રીઓ પર એક્શન લેવાશે. નેતૃત્વ કેટલાય મંત્રીઓના કામકાજથી ખુશ નથી. કેન્દ્ર સરકારના કામકાજને મંત્રાલયે કેટલુ જમીન પર ઉતાર્યું છે. તેની સમીક્ષા થઈ રહી છે. કહેવાય છે કે, શિવસેનાના એકનાથ શિંદે જૂથને પણ કેબિનેટમાં જગ્યા મળી શકે છે. બે મંત્રી પદ મળશે. કેન્દ્ર સરકારના ઢગલાબંધ મંત્રીઓ પર પરિવર્તનની અસર થશે. અમુક મંત્રીઓના વિભાગ બદલાશે. સૂત્રો દ્વારા આ જાણકારી સામે આવી છે.
ગત વર્ષે જૂલાઈમાં પીએમ મોદીએ કેબિનેટ વિસ્તાર કર્યો હતો. 2019માં ફરી સત્તામાં આવ્યા બાદ આ પ્રથમ મંત્રીમંડળનો વિસ્તાર હતો. તેમાં 43 સાંસદોએ શપથ લીધા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્બાનંદ સોનોવાલ સહિત 36 નવા ચહેરાઓ હતા. જ્યારે 7 વર્તમાન મંત્રી હતા. મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રી બનાવ્યા હતા, જ્યારે સિંધિયા નાગરિક ઉડ્ડયન મંત્રાલય આપ્યું હતું. ત્યારે રવિશંકર પ્રસાદ, હર્ષવર્ધન અને પ્રકાશ જાવડેકરને કેબિનેટમાંથી હટાવી દીધા હતા.
હાલમાં જ મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહએ મંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે. બંનેનો રાજ્યસભાનો કાર્યકાળ પુરો થઈ ગયો હતો અને તેઓ કોઈ સદનના સભ્ય નહોતા. ત્યારે આવા સમયે બંનેને મંત્રી પદ છોડવું પડ્યું હતું. બંનેના મંત્રાલય સ્મૃતિ ઈરાની અને જ્યોતિરાદિત્ય સિંધિયાને સોંપી દેવામાં આવ્યા હતા. ઈરાનીને નકવીનું અલ્પસંખ્યક મંત્રાલય મળ્યું, જ્યારે સિંધિયાને સ્ટીલ મંત્રાલય સોંપી દેવામાં આવ્યું છે.