લોકસભા ચૂંટણી 2019 દરમિયાન જો કોઈ એક રાજ્ય સૌથી વધારે ચર્ચામાં રહ્યું હોય તો તે હતું પશ્ચિમ બંગાળ. ચૂંટણી પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના તારણ બંગાળમાં ભાજપને દમદાર દસ્તકની તરફ સંકેત આપી રહ્યા છે. ત્યાં દીદી રાજના ખાત્મા તરફ ઈશારો કરી રહ્યા છે. ચૂંટણીની જગ્યાએ યુદ્ધ ભૂમિમાં બદલાઈ ચુકેલા દીદીના ગઢ બંગાળમાં દરેક તબક્કામાં હિંસાના દ્રશ્યોએ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા. ભાજપ આ ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મહેનત કરતું જોવા મળ્યું. આ મહેનતનું મીઠુ ફળ હાલ તો એક્ઝિટ પોલના અનુમાનમાં જોવા મળી રહ્યું છે. ચૂંટણીનું સાચું પરિણામ તો 23મે આવશે પરંતુ તે પહેલા એક્ઝિટ પોલના આંકડાને જોઈએ તો મમતાનો કિલ્લો ધ્વસ્ત થતો જોવા મળી રહ્યો છે.
શું કહે છે બંગાળનો એક્ઝિટ પોલ?
એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળની કુલ 42 લોકસભા બેઠકમાંથી ભાજપના ફાળે 19થી 23 બેઠક જાય છે. જ્યારે રાજ્યમાં સત્તાધારી પાર્ટી TMCને માત્ર 19થી 22 બેઠકથી સંતોષ માનવો પડી શકે છે. તો દેશમાં સૌથી મોટી વિપક્ષી પાર્ટીની ભૂમિકા ભજવનારી કોંગ્રેસને બંગાળમાં માત્ર 1 બેઠક જ મળવાનું અનુમાન છે. તો રાજ્યમાં લગભગ 34 વર્ષ સુધી સત્તા ચલાવનારા CPM અને CMIને પણ માત્ર એક જ બેઠક મળવાના એંધાણ છે. જો વાત વોટ શેરની કરીએ તો TMC અને ભાજપને 41-41 ટકા મત મળી શકે છે. જ્યારે UPAને 7 ટકા મત મળવાની સંભાવના છે. તો CPM-CMI અને અન્યને 5થી 6 ટકા વોટ શેર મળવાનું અનુમાન છે.
ખાસ વાત એ છે કે અલગ અલગ એજન્સીઓના દરેક એક્ઝિટ પોલ પશ્ચિમ બંગાળમાં ભાજપને વધારે બેઠકો આપી રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને બંગાળમાં માત્ર 2 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. 2014માં મોદી લહેર છતાં TMCએ 33 બેઠકો પર જીત અંકે કરી હતી.
કેમ ધ્વસ્ત થઈ રહ્યો છે મમતાનો કિલ્લો?
પશ્ચિમ બંગાળમાં 34 વર્ષોથી જામેલી CPM સરકારને મમતાએ વર્ષ 2011માં ઉઘાડી ફેંકી હતી. વિધાનસભા ચૂંટણીમાં 294માંથી 184 બેઠકો પર કબ્જો જમાવીને પ્રથમ વખત મમતા મુખ્યમંત્રી બન્યા હતા. મમતાએ સિંગૂર પ્લાન્ટથી લઈને CPMની ખરાબ નીતિઓ સામે રાખીને મા, માટી અને માનુષનું સુત્ર આપ્યું હતું. આ સુત્રએ તેમને સત્તા સુધી પહોંચાડ્યા. તો કોંગ્રેસ અનેક દશકોથી બંગાળમાં હાશિયા પર છે. તેવામાં બંગાળ જેવા મોટા રાજ્યમાં પોતાની જમીન શોધવાનું ભાજપ નક્કી કર્યું. ધીરે ધીરે પોતાની પકડ મજબૂત કરી. ભાજપે અહીં હિન્દુઓને પોતાનો આધાર બનાવીને મમતા પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો. દૂર્ગા પૂજા હોય કે પછી સરસ્વતી પૂજા, મૂર્તિ વિસર્જન પર રોક અને મોહરમ પર મળનારી છૂટને લઈને ઉપજેલા વિવાદને ભાજપે મુદ્દો બનાવ્યો. આરોપ લગાવ્યો કે મમતા માત્ર એક સમુદાય માટે જ વિશેષ કામ કરી રહી છે. રામનવમીની શોભાયાત્રા અને પ્રતિમા વિસર્જનના મુદ્દા પર મમતાના નિર્ણયને ભાજપ હાઈકોર્ટ સુધી લઈ ગયું. જેના કારણે મમતાની છબીને નુકસાન પહોંચ્યું. આ જ મુદ્દાને કારણે બહૂમતિમાં રહેલા હિન્દુઓનો વિશ્વાસ ભાજપ પર વધ્યો.
તો ભાજપનો જોરદાર વિરોધ મમતાના કાર્યકરો સહન ન કરી શક્યા. બન્ને પાર્ટીઓના કાર્યકરો વચ્ચે હિંસાનો દોર શરૂ થયો. ભાજપના નેતા અને કાર્યકરોની હત્યા થવા લાગી. આ મુદ્દાને ભાજપે દેશભરમાં જોરશોરથી ચગાવ્યો. તો ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂષણખોરનો મુદ્દાને પણ ભાજપે મોટો મુદ્દો બનાવ્યો. તેનો ફાયદો ભાજપને બંગાળ સિવાય રાષ્ટ્રીય લેવલે પણ થયો હતો.
હવે મમતા માટે શું વિકલ્પ ?
જો એક્ઝિટ પોલના આંકડા સાચા પરિણામમાં પરિણમે તો કેન્દ્રમાં નરેન્દ્ર મોદી વધુ મજબૂત થશે. સાથે રાજ્યમાં મમતા બેનર્જીની શાખ ઓછી થશે અને તેમનો મોદી વિરોધ કમજોર થશે. 2021માં રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં મમતાએ ભાજપના મજબૂત મુકાબલોનો સામનો કરવો પડશે. જો ચૂંટણીના પરિણામો ભાજપના પક્ષમાં રહે તો બન્ને પાર્ટીઓ વચ્ચે નિશ્ચિત રીતે સંઘર્ષ વધશે અને રાજ્યમાં રાજકીય હિંસાઓની ઘટનાઓમાં વધારો થશે.
તો મમતા પાસે બીજો રસ્તો એ છે કે ભવિષ્યની રાજનીતિમાં પોતાનું વજૂદ ટકાવી રાખવા માટે મમતા ભાજપ સામે પોતાના હથિયાર હેઠા મુકી અને વાજપેયી સરકારની માફક ફરી એક વખત NDAનો ભાગ બની જાય. મમતા પાસ એક રસ્તો એ પણ છે કે તે રાજ્યમાં આગામી દિવસોમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને બંગાળમાં ભાજપની સામે પોતાના તેવર વધુ તીવ્ર બનાવે અને શક્તિથી ઉતરે. સાથે રાજ્યમાં લગભગ ખતમ થઈ ગયેલી CPMનો પણ અપ્રત્યેક્ષ રીતે સપોર્ટ લે. પોતાની સત્તા તથા શાખ બચાવી રાખે. જોકે જોવું રહ્યું કે એક્ઝિટ પોલના આંકડા કેટલા સાચા સાબિત થાય છે.