ગુજરાતના નવા મુખ્ય સચિવ પદે IAS પંકજ કુમારના નામની ચર્ચા છે. સિનિયર હોવાને નાતે સરકાર તેમની પસંદગી કરે તેવી શક્યતા છે.
ગુજરાતના નવા મુખ્ય સચિવ પદે IAS પંકજ કુમારની ચર્ચા
પંકજ કુમાર સૌથી સિનિયર IAS છે
સિનિયર હોવાને નાતે સરકાર તેમને બનાવી શકે મુખ્ય સચિવ
હાલના મુખ્ય સચિવ અનિલ મુકીમ 31 ઓગસ્ટે સેવાનિવૃત થઈ રહ્યાં છે
કારણ કે ઓગસ્ટના અંતમાં હાલના CS અનિલ મુકીમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને હવે તેમને ત્રીજી વખત એક્સ્ટેન્શન મળે તેવી શક્યતા નહીંવત્ છે. આવામાં રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે મુખ્યત્વે બે નામોની ચર્ચા છે જેમાં સૂત્રોનું માનીએ તો પંકજ કુમારના નામ પર પસંદગી ઉતારાય તેવી શક્યતા લાગી રહી છે.
ગાંધીનગરના સૂત્રોનુસાર, આગામી બે-ત્રણ દિવસમાં જ નવા મુખ્ય સચિવના નામની જાહેરાત થઈ જશે અને 1 સપ્ટેમ્બરથી સત્તાવાર ચાર્જ સંભાળી લેશે. પંકજ કુમારનું નામ તેમની સિનિયોરિટીના હિસાબથી સૌથી મોખરે ગણવામાં આવી રહ્યું છે.
બ્યૂરોક્રસીનાં બોસ અનિલ મુકીમ 31 ઓગસ્ટે સેવાનિવૃત થઈ રહ્યાં છે
ગુજરાત સરકારમાં બ્યૂરોક્રસીનાં બોસ અનિલ મુકીમ હવે પોતાના પદ પરથી વિદાય લેવા જઈ રહ્યા છે. રાજ્યના ઈતિહાસમાં મુકીમ પહેલા એવા ચીફ સેક્રેટરી છે કે જેમને એક નહીં બે-બે વાર CSનાં પદે એક્સટેન્શન આપવામાં આવ્યું. મુકીમે વર્ષ 2019માં JN સિંઘ બાદ ચાર્જ સંભાળ્યો હતો અને તે બાદ તેઓ 2020માં જ ઓગસ્ટ મહિનામાં તેઓ નિવૃત્ત થવાના હતા, જોકે મુકીમ સરકારનાં ટોપ લીડર્સની ખૂબ જ નજીકના અધિકારી હોવાના કારણે તેમને બે વાર એક્સટેન્શન આપવામાં આવ્યું છે.
આ 2 નામો છે ચર્ચામાં
જોકે હવે જોવાનું એ રહે છે કે રૂપાણી સરકાર ફરીથી મુકીમને એક્સટેન્શન આપે છે કે પછી 1986ની બેચમાંથી નવા ચીફ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. જો નવા ચીફ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે તો મુખ્યત્વે બે નામો રેસમાં સૌથી આગળ છે. પંકજ કુમાર અને રાજીવ કુમાર ગુપ્તા.
કોણ છે પંકજ કુમાર?
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો પદભાર પંકજ કુમાર સંભાળી રહ્યા છે.અનુભવ અને કામગીરીના આધાર પર CSની રેસમાં સૌથી આગળ પંકજ કુમારનું નામ ચાલી રહ્યું છે. તેમની જન્મ તારીખ 6 મે, 1962 છે જ્યારે 25 ઓગસ્ટ 1986થી IAS તરીકે જોડાયેલા છે.પંકજ કુમારે B.TEC, MBA, IIT મેનેજમેન્ટ કાનપુરથી કરેલું છે. પંકજ કુમારની કામગીરીથી વિજય રૂપાણી પ્રભાવિત છે.
રાજીવ કુમાર ગુપ્તા
જ્યારે રાજીવ કુમાર ગુપ્તાની વાત કરવામાં આવે તેઓ પણ 1986 બેચના છે અને વર્તમાનમાં ઈન્ડસ્ટ્રીઝ & માઈન્સ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા છે. વધુમાં ગુજરાત સરકારની મહત્વકાંક્ષી યોજના ગણાતી સરદાર સરોવર પ્રોજેક્ટમાં તેમની પાસે જ MDનો ચાર્જ પણ છે.
હજુ પણ મુકીમને જ રખાશે?
હવે જ્યારે મુકીમનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં અમલદારશાહીનાં નવા નાયક માટે પાવર કોરીડૉરમાં હલચલ વધી ગઈ છે. જોકે હવે જોવાનું એ રહે છે કે રૂપાણી સરકાર ફરીથી મુકીમને એક્સટેન્શન આપે છે કે પછી 1986ની બેચમાંથી નવા ચીફ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે.
PMO જ લેશે અંતિમ નિર્ણય!
જોકે VTVના સૂત્રો અનુસાર ગુજરાતમાં આગામી ચીફ સેક્રેટરીની નિમણૂકનો નિર્ણય મહદંશે દિલ્હીમાં PMO પર નિર્ભર રહેશે. મુકીમ હજુ વધારે એક્સટેન્શન આપવું કે નહીં અને જો ન અપાય તો આગામી CSની નિમણૂકનો નિર્ણય પણ PMO પર નિર્ભર રહેશે. સૂત્રોનો દાવો છે કે જો મુકીમને ગુજરાતમાં ન રખાય તો કેન્દ્રમાં મોટું પદ પણ અપાઈ શકે છે.
સૂત્રો અનુસાર દિલ્હીથી નવા અધિકારીની પેરાશૂટ લેન્ડિંગ થાય તોય નવાઈ નહીં
જોકે ગુજરાતમાંથી જ કોઈ નવા ચીફ સેક્રેટરી બને છે કે પછી દિલ્હીમાંથી કોઈ અધિકારીનું પેરાશૂટ લેન્ડિંગ કરાવવામાં આવે છે તે કોઈ જાણતું નથી.