આજે જયારે દેશભરમાં પાણીની વિકટ સમસ્યાએ સરકારી વિભાગને દોડતું કરી દીધું છે અને કેટલાંક વિસ્તારોમાં તો લોકોને પીવાનું પણ પાણી નસીબ નથી થતું ત્યારે, ગાયકવાડી રાજાઓ પાણી વિષે પહેલેથી જ ચિંતિત હતાં. જેને પગલે તેમનાં સમયકાળ દરમ્યાન જ પાણી મેળવવાનાં સ્ત્રોતો તેમની આસપાસનાં વિસ્તારોમાં બનાવીને સરળતાથી પાણી મેળવતા હતાં. આવો જ એક પાણીનો ઉત્તમ સ્ત્રોત ગુજરાતમાં અકબંધ છે. ત્યારે આખરે ક્યાં છે આવી જળવ્યવસ્થા તે જોઈએ આ અહેવાલમાં.
હવે તમને સવાલ થશે કે શાં માટે આ ઐતિહાસિક સ્થળની વાત થઇ રહી છે. પણ એ પહેલાં આ ઐતિહાસિક સ્થળની ખાસ વિશેષતા શું છે તે જાણવી ખૂબ જરૂરી છે. જ્યારે કાળજાળ ઉનાળામાં ઠેર-ઠેર પાણીની તંગી જોવા મળી રહી છે. ત્યારે વનવગડામાં 800 મીટર ઊંચાઈએ આવેલાં આ ઐતિહાસિક સ્થળે તમને પાણીની કોઈ તંગી નહીં અનુભવાય. એ અમારી ગેરંટી છે અને આ જ તો આ કિલ્લાની વિશેષતા છે.
હવે તમને થશે કે આ 800 મીટરની ઊંચાઈએ એવું તે ક્યું સ્થળ છે. જ્યાં પાણીની સહેજ પણ તંગી નથી અને જોઈએ તેટલું પાણી મળી રહે છે. તો તમને જણાવી દઇએ કે આ સ્થળનું નામ છે. સોનગઢનો કિલ્લો. દક્ષિણ ગુજરાતમાં ઘણે ઠેકાણે ભલે પાણીની તંગી જોવા મળતી હોય પરંતુ સોનગઢનાં આ કિલ્લો બારેમાસ પાણીદાર રહે છે. 800 મીટરની ઊંચાઈએ પણ તમને અહીં ભરપુર પાણી મળી રહે છે અને તેનું કારણ છે કિલ્લાની સંરચના.
ઇ.સ. 1700ની સાલમાં ગાયકવાડી રાજમાં ઐતિહાસિક સોનગઢનાં કિલ્લાને બાંધવામાં આવ્યો. ત્યારે 800 મીટરની ઊંચાઈએ ટેકરી પર કિલ્લાની સંરચના જ એવી કરાઈ કે ચોમાસામાં વરસાદનું ટીપે ટીપું પાણી સંગ્રહિત થાય. ચોમાસાનાં દિવસોમાં જે વરસાદી પાણી કિલ્લા પર પડે છે તે તમામ પાણી કિલ્લામાં રહેલાં ભૂગર્ભ ટાંકા અને વાવમાં સંગ્રહિત થઈ જાય છે. જેનો ઉપયોગ જેતે સમયે તો રજવાડા અને તેનાં સૈનિકો વર્ષભર કરતા હતાં.
આજે પણ રજવાડા સમયનાં એ ભૂગર્ભ ટાંકાઓ સોનગઢનાં કિલ્લા પર મૌજુદ છે. જેનો ઉપયોગ હવે અહીં આવતા પર્યટકો, દર્શનાર્થીઓ અને પોલીસ અને વન વિભાગનાં કર્મચારીઓ હાલ કરી રહ્યાં છે. તાપી જીલ્લાની ઓળખ સમાન ગણાતા સોનગઢનાં કિલ્લા પર આવેલા પાણીનાં સ્ત્રોતો બારેમાસ છલોછલ રહે છે. ચોમાસાનાં દિવસોમાં વરસાદી પાણી સીધું જ કિલ્લાનાં પરિસરમાં મૌજુદ ભુગર્ભ ટાંકા અને હોજમાં સંગ્રહિત થઈ જાય છે.
જ્યારે ગુજરાતનાં ખૂણે ખૂણે પાણી-પાણીનાં પોકાર પડી રહ્યાં છે ત્યારે સોનગઢનો આ કિલ્લો હકીકતમાં પાણીદાર છે. સોનગઢનો કિલ્લો પાણીનો સંગ્રહ કેમ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સરકાર કરોડો રૂપિયાની યોજનાઓ કરીને પણ લોકોને પાણી પૂરું પાડી શકતી નથી. જ્યારે આ કિલ્લાની તો કોઈ જાળવણી પણ થતી નથી તેમ છતાં અહીં ફરવા આવનારા ક્યારેય તરસે નથી મરતાં. સરકારની બેકાળજીને કારણે કિલ્લો ભલે આજે જર્જરિત દેખાતો હોય પણ ગાયકવાડી શૈલીનાં બાંધકામને કારણે હજુ પણ તેની ભુગર્ભજળ વ્યવસ્થા મરી પરવારી નથી. સરકારે કિલ્લાનાં રખરખાવ સાથે તેની પાણીસંગ્રહ યોજનાની પણ જાળવવી કરવા તરફ ધ્યાન દેવું ખૂબ જરૂરી છે.