અમદાવાદમાં પ્રિ મોન્સૂનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં તો આવે છે પરંતુ કામગીરી પૂર્ણ ક્યારે થશે ? ઠેર ઠેર ખોદકામથી લોકો થઇ રહ્યા છે પરેશાન
અમદાવાદમાં પૂર્વમાં ખાડા રાજ
નિકોલ અને વિરાટનગર વિસ્તારમાં ખોદકામથી પરેશાની
AMCની કામગીરીથી સ્થાનિકો ત્રાહિમામ
અમદાવાદ મહાનગર પાલિકા તરસ લાગે ત્યારે જ ખાડો ખોદવા બેસતી હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે હવે ચોમાસુ નજીકમાં છે એટલે તંત્રએ કામગીરીના નામે ઠેર ઠેર રસ્તાઓ પર ખોડા ખોદીને મૂકી દીધા. પરિણામે હાલાકી વેઠવાનો વારો આવ્યો જનતાનો. જનતાની સુવિધા સારુ કાર્ય કરવાને બદલે એએમસીના સત્તાધીશોએ પ્રજાને મુસીબતમાં મુકી દીધી. પ્રિ મોન્સૂન કામગીરીના નામે ચોમાસા પહેલા જ શહેરના વિવિધ રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
રસ્તા પર ખોદકામથી પ્રજા પરેશાન
વાત છે અમદાવાદના નિકોલ અને વિરાટનગરની. અહીં મેઇન રોડ પર જ મોટા મોટા ખાડા કરીને ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું છે જેને લઇને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને હવે તો વરસાદ પણ નજીકમાં છે આવા સમયે જવુ ક્યાં થઇને ? રસ્તા પર વચ્ચોવચ જ ખોદકામ કરવામાં આવી રહ્યુ છે જેને લઇને વાહનચાલકો પણ પરેશાન થઇ રહ્યા છે. લોકોની બસ એક જ માંગ છે કે ચોમાસા પહેલા સત્વરે ખાડાઓ પુરી દેવામાં આવે જેથી કોઇ જાનહાનિ થાય નહીં.
'પાણીની પાઇપમાં કેબલ ઉપર નાંખી દીધો'
તો આ મામલે એક સ્થાનિકે એએમસી પર આક્ષેપો કરતા જણાવ્યું કે પાણીની પાઇપલાઇન પર કેબલ નાંખીને જતા રહ્યા છે. દર ચોમાસે અમને શોટના ઝાટકા વાગે છે. તો અન્યએ આક્ષેપો કરતા જણાવ્યું કે ચોમાસુ આવે એટલે તંત્ર ખાડા ખોદી નાંખે છે. છેલ્લા છ મહિનાથી રસ્તો બંધ છે. ચોમાસુ નજીકમાં છે પરંતુ કામ પતાવ્યુ નથી.
અમારી દુકાનમાં કોઇ આવતુ નથી- વેપારી
આ અંગે વેપારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે માંડ માંડ કોરોનામાંથી બેઠા થયા અને આ ખાડાને લીધે વેપારીઓની દશા બેસી ગઇ છે. દુકાનોની આગળ જ ખાડા ખોદી નાંખતા ગ્રાહકોને દુકાનમાં આવતા તકલીફ પડી રહી છે. સાથે તંત્ર સામે એવો પણ આરોપ લગાવ્યો કે તંત્રની પ્રિંમોન્સૂન કામગીરી માત્ર દેખાડા છે.ચોમાસાની શરૂઆત સમયે જ તંત્ર સક્રિય થતુ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો.
વીટીવી ગુજરાતીના સળગતા સવાલ
ચોમાસુ બેસવાનું છે તે પહેલા જ ડ્રેનેજ લાઇન નાંખવાની યાદ આવી ?
આખુ વર્ષ શું કર્યુ, ચોમાસા ટાણે જ ખોદકામ કેમ ?
જો વરસાદ પહેલા આ કામ પુરુ ન થયુ તો ?
ચાલુ કામમાં વરસાદ પડશે અને ખાડાને લીધે કોઇ દુર્ઘટના બની તો જવાબદાર કોણ ?
પ્રિમોન્સૂન કામગીરીને નામે પ્રજાને હાલાકી ક્યાં સુધી ?