રાજકોટના ધોરાજીની શૈક્ષણિક સંસ્થામાં કોરોના ગાઈડલાઈન અને સરકારે મંજૂરી ન આપી હોવા છતાં પરીક્ષા યોજાઈ, ભુતવડ ખાતે સરસ્વતી વિદ્યાપીઠમાં પરીક્ષા યોજાઈ
ધોરાજીની શૈક્ષણિક સંસ્થામાં યોજાઈ પરીક્ષા
મંજૂરી વગર પરીક્ષા યોજાઈ હોવાનું આવ્યું સામે
ભુતવડ ખાતે સરસ્વતી વિદ્યાપીઠમાં યોજાઈ પરીક્ષા
રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે હજુ શાળા-કોલેજોમાં ઓફલાઇન અભ્યાસની સરકારે છૂટ આપી નથી. ત્યારે ધોરાજીની શૈક્ષણિક સંસ્થામાં મંજૂરી વગર પરીક્ષા યોજાઈ હોવાનું સામે આવ્યું છે. ધોરાજીના ભુતવડ ખાતે સરસ્વતી વિદ્યાપીઠમાં પરીક્ષા યોજવામાં આવી હતી. સરસ્વતી વિદ્યાપીઠમાં 50થી 60 બાળકોને પરીક્ષા લેવા માટે બોલાવ્યા હતા અને એક ક્લાસમાં 20 વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા. તેમજ પરીક્ષા સમયે કોરોના ગાઈડલાઈનનું પણ ઉલ્લંઘન કરાયું હતું.
તમામ વિદ્યાર્થીઓ માસ્ક વગર જોવા મળ્યા હતા. મેસેજથી જાણ કરીને સંસ્થાએ વિદ્યાર્થીઓને બોલાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, ક્યાં ધોરણની પરીક્ષા લીધી તે અંગે સંચાલકે મૌન સેવ્યુ હતું. વિવાદ વકરતા હવે કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને એકઠાં કરનારી શાળા વિરૂદ્ધ પગલાં લેવાની માગણી ઉઠી છે. આપને જણાવી દઈએ કે, અગાઉ પણ આ સંસ્થા વિવાદમાં આવી ચૂકી છે.
અગાઉ પણ આ સંસ્થામાં કોરોના નિયમ વિરુદ્ધ કાર્યક્રમ યોજાયો
રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે ધોરાજીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. અને કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. ભૂતવડમાં સરસ્વતી વિદ્યાપીઠમાં કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે આ કાર્યક્રમમાં ભાજપના સાંસદ રમેશ ધડુક પણ હાજર હતા. હાલ કોરોનાના કારણે કાર્યક્રમો યોજવાની મનાઇ છે છતાં પણ કોણે કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી. સૌથી મોટો સવાલ એ જ છે કે, નેતા નિયમો તોડે, તંત્ર જોતું રહે અને પ્રજા સહન કરતી રહે?. સાંસદ રમેશ ધડુકને નિયમોનો ખ્યાલ નહોતો.