હાલમાં ગુજરાતમાં સરકારી કર્મચારીઓ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. આ કડીમાં નિવૃત સૈનિકોએ પણ પોતાની માંગોને લઈને સરકાર સામે મોરચો ખોલ્યો છે.
ગાંધીનગરમાં બીજા દિવસે નિવૃત સૈનિકોનો જમાવડો
વિવિધ માંગણીઓને લઇ નિવૃત સૈનિકો કરી રહ્યા છે વિરોધ
માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આદોલન યથાવત્ રહેશેઃ માજી સૈનિકો
આજે સતત બીજા દિવસે મોટી સંખ્યામાં નિવૃત સૈનિકો ગાંધીનગર ખાતે એકઠા થયા છે. આજે સતત બીજા દિવસે પૂર્વ સૈનિકોનું આંદોલન યથાવત છે. પૂર્વ સૈનિકો અનામત, ખેતી માટે જમીન, પ્લોટ, પગાર રક્ષણ, હથિયાર નવા લેવા, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદી, ફિક્સ પ્રથા જેવા અનેક મુદ્દાઓ પર આ આંદોલન કરી રહ્યા છે. આ મુદ્દે સવારથી જ અનેક પૂર્વ સૈનિકો ગાંધીનગરમાં એકઠા થયા છે. આજે સવારથી ફરી નિવૃત સૈનિકોએ ધરણા શરૂ કર્યા છે.
સરકાર જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી આદોલન યથાવત્ રહેશે
માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ અનસન પર ઉતર્યા છે. તેમનું કહેવું છે કે, 'સરકાર જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી અમારું આદોલન યથાવત રહેશે.' મોટી સંખ્યામાં નિવૃત સૈનિકો ગાંધીનગર વિધાનસભાની પાસે આંદોલન કરી રહ્યા છે.
આંદોલન દરમિયાન નિવૃત આર્મીમેનનું મૃત્યુ
ગતરોજ પણ મોટી સંખ્યામાં નિવૃત સૈનિકો ગાંધીનગર ખાતે એકઠા હતા. આર્મીના જવાનોએ ચીલોડાથી ગાંધીનગર સુધી માર્ચ કાઢી હતી. તો બીજી તરફ ગાંધીનગર સચિવાલયમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગાંધીનગરના ચીલોડા પાસે ધરણા દરમિયાન નિવૃત્ત આર્મી જવાન કાનજીભાઈ મોથલીયાની તબીયત લથડતા તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જે બાદ મોટી સંખ્યામાં માજી સૈનિકો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્યાં હાજર માજી સૈનિકોએ જણાવ્યું હતું કે, પોલીસના મારથી તેઓનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે મૂંઢ મારી પૂર્વ જવાનને ઘાયલ કર્યા હતા. નિવૃત્ત આર્મીમેન સાથે આંતકવાદી જેવો વ્યવહાર થયો હોવાનો આરોપ લાગાવવામાં આવ્યો હતો.
કોંગ્રેસના નેતાઓએ પરિવારને પાઠવી સાંત્વના
ગાંધીનગરમાં નિવૃત આર્મીમેનનું મૃત્યુ થતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જગદીશ ઠાકોર સાથે ધારાસભ્ય સી.જે.ચાવડાએ પણ મૃતક સૈનિકના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. મૃતક કાનજીભાઈ મોથલિયાના દીકરા ગાંધીનગર પોલીસમાં ફરજ બજાવે છે. મૃતક કાનજીભાઈના દીકરાએ માંગ કરી હતી કે માર મારનાર પોલીસ સામે કડક પગલાં લેવાય.
માજી સૈનિકો શું માંગણી કરી રહ્યાં છે?
- શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય
- શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી
- શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન
- ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્મારક
- શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા
- વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ
- માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવાના નિયમનો ચુસ્ત અમલ
- રહેણાક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ
- દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ
- કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ
- હથિયાર લાયસન્સ રિન્યુ કરવા અને નવા લાયસન્સ લેવા તાત્કાલિક કાર્યવાહી
- માજી સૈનિકના સામાજિક પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક નિરાકરણ
- સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ
- ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી
- સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક
- ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત
- માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો
- માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવે