મની લોન્ડરિંગના કેસમાં NCP નેતા નવાબ મલિકની ધરપકડ થઇ છે. તેમને 8 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ જ સંદર્ભે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.
મની લોન્ડરિંગ કેસમાં NCP નેતા નવાબ મલિકની ધરપકડ
3 માર્ચ સુધી નવાબ મલિકના રિમાન્ડ મંજૂર
દાઉદના મદદગારને બચાવવા માટે ઉભી છે મહારાષ્ટ્ર સરકારઃ ફડણવીસ
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના ફાયરબ્રાન્ડ નેતા નવાબ મલિકની ઈડીએ ધરપકડ લીધી છે. ઈડી દ્વારા મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવાયા બાદ મહારાષ્ટ્રના દિગ્ગજ મંત્રી નવાબ મલિકની મુશ્કેલી વધી છે. ઈડીએ સવારમાં તેમની ધરપકડ કરી હતી અને હવે તેમને કોર્ટે 3 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આજે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની મુંબઈ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી છે. આ પહેલા ઈડીની ટીમે એનસીપી નેતાની લંબાણપૂર્વક પૂછપરછ કરી હતી. ધરપકડ બાદ એનસીપીના નેતાની જેજે હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
નવાબ મલિકે અંડરવર્લ્ડની મદદથી કરોડોની જમીન ખરીદી
ફડણવીસે કહ્યું કે, દાઉદ જેવા દેશના દુશ્મનો જેના દ્વારા મદદ પહોંચી તેને બચાવવા માટે અને તેના મંત્રી પદ બચાવવા માટે આખી સરકાર તેની પાછળ ઉભી છે, તેનો જવાબ દેશને આપવો પડશે. ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે અંડરવર્લ્ડની મદદથી કરોડોની જમીન ખરીદી. આ મામલે સમગ્ર તપાસ બાદ ઈડીની કોર્ટે તેમને 3 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યા છે.
નવાબ મલિકના વકીલની દલીલ શું?
નવાબ મલિકના વકીલ અમિત દેસાઇ દલીલ કરી કે 20 વર્ષ પહેલાના કેસમાં અત્યારે કાર્યવાહી કેમ? અમિત દેસાઇએ કહ્યું કે, નવાબ મલિક એક જવાબદારી વ્યક્તિ છે. મલિકનો ડી કંપની સાથે કોઇ સંબંધ નથી. 2005માં જે પ્રોપર્ટી ખરીદવાની વાત કરી છે તેની કિંમત 300 કરોડ દર્શાવાઈ છે. આ ક્યા આધારે છે? 2005માં સંપતિની આ કિંમત વધારે લાગે છે. આ હિંદી ફિલ્મની સ્ક્રીપ્ટ નથી. એક પ્રોપર્ટીની ખરીદવાના મામલામાં એવું ન કહી શકાય કે દેશદ્રોહી ગતિવિધિમાં સામેલ છે. ટેરર ફન્ડિંગ શબ્દને લઇને અમિત દેસાઇએ વાંધો ઉઠાવ્યો છે. પહેલા પૂરાવા એકઠા કરે, પછી કાર્યવાહી કરે. નવાબ મલિક પર લાગેલા આરોપોની FIR ક્યા છે?
ઈડીના સવાલોનો જવાબ ન આપી શક્યા નવાબ મલિક
ઈડી અધિકારીઓએ જણાવ્યું કે, મલિકનું નિવેદન PMLA કાયદા હેઠળ દાખલ કરવામાં આવ્યું છે. તેમને આ કાયદાની જોગવાઈ હેઠળ ધરપકડ કરાઇ કારણ કે તેઓ પોતાના જવાબમાં અટવાઇ રહ્યા હતા.
નવાબ મલિકની ધરપકડ પર શરદ પવારે બોલાવી બેઠક
ત્યારે નવાબ મલિકની ધરપકડ બાદ સર્જાયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કેટલાક મંત્રીઓએ બુધવારે સાંજે પાર્ટી પ્રમુખ શરદ પવારના ઘરે બેઠક કરી. NCP સૂત્રોએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર, મંત્રી છગન ભુજબલ, હસન મુશરિફ અને રાજેશ ટોપે બેઠક માટે દક્ષિણ મુંબઈમાં શરદ પવારના નિવાસ સ્થાન સિલ્વર ઓક પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, મલિકના રાજીનામાની સ્થિતિ તેમના વિભાગની પાર્ટી
નવાબ મલિકનું રાજીનામું નહીં લેવાય
બેઠકમાં નવાબ મલિકનું રાજીનામું ન લેવાનો નિર્ણય કર્યો છે. શરદ પવારની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કહેવામાં આવ્યું કે અમે ભાજપની સામે નહીં ઝૂકીએ. મહારાષ્ટ્ર ભાજપ નવાબ મલિકના રાજીનામાની માંગને લઇને ગુરૂવારે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. તો બીજી તરફ મહાવિકાસ અઘાડીના નેતા પણ પ્રદર્શન કરશે.
નવાબ મલિકના રાજીનામાની જરૂર નથીઃ સંજય રાઉત
નવાબ મલિકને લઇને શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, 2024 બાદ આ લોકોની પણ તપાસ થશે. નવાબ મલિકના રાજીનામાની જરૂર નહીં. અફઝલની જેમ પાછળથી હુમલો કર્યો છે. આ અમારા માટે પડકાર છે. નવાબ મલિક રાજીનામુ ન આપે. તો છગન ભુજબળે કહ્યું કે, દુર્ભાવનાથી કાર્યવાહી કરવમાં આવી છે. જનતા વચ્ચે જઇને અમે અવાજ ઉઠાવીશું.
શું છે સમગ્ર મામલો ?
મલિક પર ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરીતો સાથે સંબંધ રાખવાનો અને જમીન મામલે નાણાકીય વ્યવહારનો આરોપ છે. આર્યન ખાન ડ્રગ્સ કેસના કારણે ચર્ચામાં આવેલા એનસીબીના અધિકારી સમીર વાનખેડે પર દરરોજ નવા ખુલાસા કરનારા નવાબ મલિકને હવે ઈડીની કસ્ટડીમાં રહીને 30 લાખની જમીન અને ડોન દાઉદ સાથેના સંબંધો અંગે ખુલાસા આપવા પડી રહ્યા છે. જો કે અઘાડી સરકારના પક્ષો આ ધરપકડ રાજકીય રીતે પ્રેરિત ગણાવી રહ્યા છે.
દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે. પરંતુ ઈન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ(ED)ના 10 લીટીના આ એક કાગળથી, મહારાષ્ટ્રના રાજકારણનો પારો આસમાને પહોંચ્યો છે. કારણ કે આ પત્રમાં લખ્યું છે પ્રિવેન્શન ઓફ મનીલોન્ડ્રીંગ એક્ટ 2002 અંતર્ગત નવાબ મલિકની 23 ફેબ્રુઆરીએ બપોરે પોણા ત્રણ વાગે ધરપકડ કરવામાં આવે છે.
મહારાષ્ટ્ર સરકારમાં અલ્પસંખ્યક વિકાસ મંત્રી અને એનસીપીના પ્રવક્તા નવાબ મલિક પર આરોપ છે તેમણે દાઉદની બહેન હસીના પારકર માટે કામ કરતા સલિમ પટેલ અને સરકાર શાહવદી ખાન સાથે મિલકત સંબંધિત ડિલ કરી. કુર્લામાં LBS માર્ગ પર 2.80 એકરની મિલકત માત્ર રૂ.30 લાખમાં સોલિડસ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ મારફતે મલિકે ખરીદી. આ ડીલ પર હસ્તાક્ષર કરનાર ફરાજ મલિક હતા, અને ફરાજ નવાબ મલિકના પુત્ર છે. નવાબ મલિક આ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતા પરંતુ 2019માં મંત્રી તરીકે પદ સંભાળતા પહેલા નવાબ મલિકે રાજીનામું આપી દીધું. પ્રોપર્ટી ડીલ પછી નવાબ મલિકે સરદાર શાહવલી અલી ખાનને રૂ.15 લાખ અને મોહમ્મદ સલીમ પટેલને રૂ.5 લાખ ચૂકવ્યા હતા. પરંતુ નવાબ મલિકે પ્રોપર્ટી ડીલ રૂ.30 લાખમાં થઇ હોવાનું કહ્યું હતું.
મુંબઈમાં ઈડી ઓફિસની બહાર નિકળતા સમયે ચહેરા પર સ્મિત સાથે મુઠ્ઠીવાળી હવામાં હાથ લહેરાવતા નવાબ મલિકે અડગતાના સંકેત તો આપ્યા, પરંતુ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સમી વિચારધારા ધરાવતા ત્રણ પક્ષોના ગઠબંધનથી બનેલી મહારાષ્ટ્ર સરકારના મંત્રીના હાથમાં કાયદાની કડી લાગે, તો રાજકીય અનુસંધાન જોડાયા વગર ન જ રહે.
એક અરસા સુધી અંડરવર્લ્ડના ઓથાર હેઠળ જીવનારા, બ્લાસ્ટના ભંયકર ભૂતકાળના સાક્ષી રહેનારા મુંબઈમાં ફરી એકવાર અન્ડરવર્લ્ડની સક્રિયતાની ચર્ચાઓ શરૂ થઈ છે. જો કે બીજી તરફ નવાબ મલિક સામેની કાર્યવાહી રાજકીય પ્રેરિત હોવાના પણ આરોપ લાગ્યા છે. ત્યારે સત્તાના સિંહાસન પર બેસનારા નેતા ઉદ્ધવ ઠાકરેથી લઈને રાજકીય શતરંજ ગોઠવનાર શરદ પવાર જેવા દિગ્ગજો માટે સરકારનો બચાવ કરવાની સાથે જ ભ્રષ્ટાચાર અને સુરક્ષા મુદ્દે નાગરિકોને વિશ્વાસમાં લેવાનો વખત છે.