ગુજરાત વિધાનસભા ચૂંટણીના આજે પ્રથમ તબક્કાના મતદાન દરમ્યાન અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું પણ સામે આવ્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન
વાપી અને ગોંડલમાં EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું
નાણામંત્રી કનુભાઈ દેસાઈ મતદાન કરવા પહોંચ્યા અને EVM બંધ
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યારે બીજી તરફ બીજા તબક્કાની વિધાનસભાની બેઠકો પર રાજકીય પક્ષોનો પ્રચાર પણ ચાલી રહ્યો છે. આ દરમ્યાન હવે અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું પણ સામે આવ્યું છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ વાપી અને ગોંડલમાં EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ મતદાન કરવા પહોંચ્યા તો તેમના બૂથનું ઈવીએમ જ બંધ હતું. વાપીની પરથી કનુ દેસાઈ આજે વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કરતા પહેલા તેમનામાં અનેરો ઉત્સાહ હતો, પરંતુ બૂથ પર પહોંચતા જ તેમના ઉત્સાહ ઠંડો પડ્યો હતો. કારણ કે નાણામંત્રીને જે બુથ પર મતદાન કરવાનું છે તેનું જ EVM બંધ હતું. કનુ દેસાઈ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા, પરંતુ ઈવીએમ ખોટકાયાને કારણે તેઓ મતદાન કરી શક્યા ન હતા. કનુભાઈ વાપીની જ્ઞાનધામ સ્કૂલમાં મતદાન કરવા પહોંચ્યા હતા.
આ દરમ્યાન ગોંડલમાં ભગતપરા શાળા નંબર-5માં EVM ખોટકાયું હોવાનું સામે આવ્યું છે. મતદાન શરૂ ન થતાં લોકો રોષે ભરાયા હતા. આ તરફ અનેક મતદારો એ કહ્યું હતું કે, મતદાન બૂથ પર ઈવીએમ બંધ છે એટલે અમે રાહ જોઈ ઉભા છીએ. અન્ય એક મતદારે કહ્યું કે, અમે સાડા સાત વાગ્યાથી મતદાન આપવા ઉભા છીએ, પરંતુ ટેકનિકલ ખામીને કારણે વોટ આપી શક્યા નથી.
આજે ગુજરાતભરમાં આ બેઠકો પર સૌની નજર
ખંભાળિયા બેઠક પર આજે ખરાખરીનો જંગ
ખંભાળિયા બેઠક પરથી આમ આદમી પાર્ટીના CM પદના ચહેરા ઇસુદાન ગઢવીએ ચૂંટણી જંગમાં ઝંપલાવતા સૌ કોઇની આ સીટ પર મીટ માંડીને બેઠાં છે. મુસ્લિમ, આહીર, સતવારા અને ગઢવી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર બે આહિર અને ગઢવી વચ્ચે જંગ છે. કારણ કે ભાજપમાંથી પૂર્વ મંત્રી મૂળુ બેરા અને કોંગ્રેસમાંથી વિક્રમ માડમ ચૂંટણી લડી રહ્યાં છે.
ગોંડલ બેઠક પર જામશે ચૂંટણીનો રસપ્રદ જંગ
ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ગોંડલ વિધાનસભા સીટ ચર્ચામાં આવી ગઇ છે. કારણ કે આ સીટ પરથી બે ક્ષત્રિય દિગ્ગજો જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા સામસામે મેદાનમાં છે. સૌ પહેલા ભાજપમાંથી પોતાના પુત્ર માટે ટિકિટ લેવા જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ સામસામે આવી ગયા હતા. પરંતુ ભાજપે જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી. આથી જયરાજસિંહનો હાથ ઉપર રહ્યો. ચૂંટણી જાહેર થયા બાદ પ્રચારના અંતિમ દિવસોમાં જયરાજસિંહે અનિરુદ્ધસિંહ અને તેમના પિતાનું નામ લઈને ખૂબ આક્ષેપો કર્યા હતા. ત્યાર બાદ અનિરુદ્ધસિંહે તેનો જવાબ આપવા ગોંડલ સીટ પૂરતો કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો.
કુતિયાણા બેઠક પર કાંધલ જ કિંગ?
કુતિયાણા બેઠક પર 2012થી સંતોકબેનના પુત્ર કાંધલ જાડેજા ચૂંટાતા આવે છે. પરંતુ આ વખતે સ્થિતિ બદલાઈ છે. ભાજપે મેર જ્ઞાતિના અને કુતિયાણા નગરપાલિકાના 28 વર્ષથી પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે NCPએ કાંધલને ટિકિટ ન આપતા તેઓએ સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જ્યારે કોંગ્રેસે નાથાભાઈ ઓડેદરાને ટિકિટ આપી છે. આથી આ બેઠક પર ત્રણેય મેર વચ્ચે બરાબરનો ચૂંટણી જંગ જામશે.
વરાછા બેઠક
વરાછા બેઠકને પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર માનવામાં આવે છે. કારણ કે આ બેઠક પર અંદાજે દોઢ લાખ કરતાં વધારે પાટીદાર મતદારો છે. અહીં AAPએ PAASના કન્વીનર અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે કુમાર કાનાણીને રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે પ્રફુલ તોગડિયાને ટિકિટ આપી છે. ત્યારે તમને જણાવી દઇએ કે, ગઈ વખતની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર ધીરુ ગજેરા સામે કુમાર કાનાણીનો 13 હજારથી વધુ મતથી વિજય થયો હતો. પરંતુ આ વખતે અલ્પેશ કથીરિયાએ ખુલ્લેઆમ પોતાની જીતનો દાવો કર્યો છે. ત્યારે ભાજપ માટે આ વખતે સુરતની આ બેઠક એક પડકારજનક બેઠક કહી શકાય. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આખરે આ સીટ પરથી કોણ બાજી મારે છે અને કોણ ઘરભેગું થશે.