ભારતમાં મધ્યમ વર્ગ સૌથી વધુ પીસાય છે તેવી ફરિયાદો આપણે વર્ષોથી સાંભળીએ છે. એવામાં એક પ્રતિષ્ઠિત રિસર્ચ ઓર્ગેનાઇઝેશન વડે આવેલા એક અહેવાલે ભારતમાંથી મધ્યમવર્ગનો છેદ જ ઉડાડી દીધો છે. તેમના મતે જે લોકો પોતાને મિડલ ક્લાસ ગણે છે એ મોટા ભાગના લોકો મધ્યમવર્ગીય નહિ પણ ગરીબ છે!
ભારત જેવા મોટા દેશમાં મોટા પ્રમાણમાં લોકો નિશ્વાસ નાખીને પોતાને મધ્યમ વર્ગીય માણસ તરીકે ઓળખાવે છે. જો કે આ અવધારણા વૈશ્વિક સ્તર ઉપર આર્થિક ક્રમનું અવલોકન કરતા ખોટી જણાય છે. કડવી વાસ્તવિકતા એ છે કે ભારતની મોટા ભાગની પ્રજા મધ્યમ વર્ગીય નહિ પણ ગરીબ છે. કરુણતા એ છે કે ભારત દેશ વર્ષોથી ગરીબ રહ્યો છે અને આજે પણ ગરીબ જ છે.
દુનિયાના જાણીતા રિસર્ચ સેન્ટર Pew Research Center study દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણના ચોંકાવનારા આંકડાઓ અનુસાર સમગ્ર વિશ્વમાં 21મી સદીના પહેલા દશકામાં દુનિયાની ગરીબીમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો. આમ છતાં દુનિયામાં મધ્યમ વર્ગની સંખ્યા 15% જ છે.
નીચેના ગ્રાફ મુજબ વસ્તીને આવક પ્રમાણે 5 ભાગોમાં વહેંચવામાં આવ્યા
ગરીબ = દિવસની 2 ડોલરથી ઓછી આવક એટલે કે 142 રૂપિયાથી ઓછી આવક
ઓછી આવક ધરાવતા = દિવસની 2 થી 10 ડોલરની આવક એટલે કે 142 થી 710 રૂપિયાની આવક
મધ્યમ વર્ગ = દિવસના 10 થી 20 ડોલરની આવક એટલે કે 710 થી 1420 રૂપિયાની આવક
મધ્યમથી ધનવાન વર્ગ
ધનવાન વર્ગ
આ અહેવાલના આધારે જાણી શકાય છે કે 95% ભારતીયો એટલ કે દેશની 1.2 અબજની જનતા ઓછી આવકમાં અને ગરીબ તરીકે જીવી રહી છે. ફક્ત અને ફક્ત 2% લોકો જ મધ્યમ વર્ગમાં આવે છે. દુનિયામાં મધ્યમવર્ગના લોકોની સંખ્યા 13% છે. આ 2% ભારત માટે કમનસીબ આંકડો છે.
ભારતમાં ગરીબી 2001માં 35% થી ઘટીને 2011માં 20% પહોંચી છે. જો કે મધ્યમ વર્ગમાં કોઈ મોટો વધારો નોંધાયો નથી.
ભારતમાં મોટા પાયે થયેલ એક સર્વે અનુસાર ગામડામાં રહેતા, શહેરમાં રહેતા, ગરીબ, ઓછી આવક વાળા, મધ્યમ વર્ગ અને ધનવાન સહિત તમામ વર્ગના આશરે અડધો અડધ લોકો પોતાને મધ્યમ વર્ગ એટલે કે મિડલ કલાસ તરીકે ઓળખાવે છે.
આમ ભારતના મધ્યમ વર્ગની સમસ્યાઓની ચર્ચામાં એ સમજવું જરૂરી છે કે ભારતમાં મોટા ભાગની પ્રજા મધ્યમ વર્ગની પણ નહિ પણ ગરીબ છે અને દુનિયામાં વિકસિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચેનો તફાવત ઘટી રહ્યો નથી.
આમ દુનિયામાં મધ્યમ વર્ગની વધતી વસ્તી અને ગરીબોની ઘટતી વસ્તી એક સારા સમાચાર છે પરંતુ હજુ પણ વૈશ્વિક સ્તરે મધ્યમવર્ગની વસ્તીમાં અપેક્ષિત વધારો થયો નથી.