કહેવાય છે કે, નેત્રદાન મહાદાન છે કેમ કે તેનાથી કોઈની જિંદગીમાં ફરી રોશની આવી શકે છે અને વ્યક્તિ આ રંગીન દુનિયા જોઈ શકે છે, પરંતુ આપણી સિસ્ટમમાં રહેલી અવ્યવસ્થા, બેદરકારી અને ખામીના કારણે નેત્રદાનમાં મળેલી આંખનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી.
દેશમાં વર્ષ 2017-18માં 69,343 કૉર્નિયા નેત્રદાનમાં મળ્યા હતા, જેને દેશભરની 238 આઈ બેન્કમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, નેત્રદાનમાં મળેલી લગભગ દર બીજી આંખ (49.5 ટકા)નો પ્રત્યારોપણમાં ઉપયોગ થઈ શકતો નથી.
ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) સહિતની દેશની 12 સૌથી મોટી આઈ બેન્કમાં નેત્રદાનના સ્ટોરેજ અને ઉપયોગ પર હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. આ અભ્યાસ ઈન્ડિયન જર્નલ ઑફ ઑપ્થેલ્મોલૉજીમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
અભ્યાસ અનુસાર, એપ્રિલ-2013થી માર્ચ-2014 દરમિયાન આ આઈ બેન્કોને 20,564 કૉર્નિયા દાનમાં મળ્યા હતા. તેમાંથી 5936 ટકા કૉર્નિયા સ્વૈચ્છિક દાનમાં અને 40.4 ટકા કૉર્નિયા હોપ્સિટલના રિટ્રિવલ પ્રાગ્રામ હેઠળ મળ્યા હતા. આંચકાજનક માહિતી એ છે કે, આમાંથી 49.5 ટકા કૉર્નિયાનો પ્રત્યારોપણમાં ઉપયોગ કરી શકાયો નથી. દેશમાં લાખો લોકો દ્રષ્ટિની ખામી ધરાવે છે અને તેઓ કૉર્નિયા પ્રત્યારોપણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આવું થાય તે આપણી સિસ્ટમ સામે અનેક સવાલો ઊભા કરે છે.
અભ્યાસમાં જણાવાયું છે કે, સ્વૈચ્છિક નેત્રદાન કરનારા લોકોમાં 59.5 ટકા પુરુષો અને 40.5 ટકા મહિલાઓ છે. સ્વૈચ્છિક નેત્રદાનમાં મળેલા કૉર્નિયાના પ્રત્યારોપણના મામલે પણ પુરુષો આગળ છે. કુલ નેત્ર પ્રત્યારોપણના 62.1 ટકા લાભાર્થી પુરુષ છે અને 37.9 ટકા મહિલાઓ છે.
દેશમાં 77.3 ટકા નેત્રદાન વ્યક્તિનું મોત નિપજે તેના છ કલાકની અંદર જ કરી દેવામાં આવે છે. નેત્રદાન માટે આ સૌથી આદર્શ સમય છે. આ ઉપરાંત 18.1 ટકા નેત્રદાન 6થી 12 કલાક દરમિયાન થાય છે. બાકીના નેત્રદાન 12 કલાક બાદ થતા હોય છે. મોટાભાગે નેત્રદાનમાં થતા વિલંબ માટે આપણી લાંબી અને જટિલ કાયદાકીય પ્રક્રિયા જ જવાબદાર હોય છે.
નેત્રદાનમાં મળેલા 50.5 ટકા કૉર્નિયાને જ અન્ય દર્દીઓમાં પ્રત્યારોપિત કરી શકાયા છે. 49.5 ટકા કૉર્નિયાનું પ્રત્યારોપણ થઈ શક્યું નથી. જે કૉર્નિયાનો ઉપયોગ પ્રત્યારોપણમાં નથી થયો તેમાંથી 58.6 ટકાનો ઉપયોગ મેડિકલ શિક્ષણ-અભ્યાસમાં અને 40.6 ટકાનો ઉપયોગ સંશોધન માટે કરવામાં આવ્યો છે.
ફક્ત 2.87 ટકા કૉર્નિયાનો ચેપ (સેપ્સિસ, હિપેટાઈટિસ બી, હિપેટાઈટિસ સી, લ્યૂકેમિયા વગેરે)ના કારણે પ્રતાયરોપણમાં ઉપયોગ કરી શકાયો નથી. નેત્રદાનમાં મળેલા કૉર્નિયાને સુરક્ષિત રાખવા માટે વિકસિત દેશોમાં ઑપ્ટિસોલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેક્નિકથી કૉર્નિયાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે. આ કારણે જ યુરોપ, અમેરિકા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં નેત્ર પ્રત્યારોપણનો દર ભારત કરતા અનેક ગણો વધારે છે.