કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારે પ્રધાનમંત્રી મોદીના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે પોતાની સરકારના સારા કામોનો ઉલ્લેખ કરી જનતાનો આભાર માન્યો હતો.
રક્ષામંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીના કર્યા વખાણ
પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વમાં વાગે છે ભારતનો ડંકો
પાકિસ્તાને પણ કર્યા છે ભારતની વિદેશનીતિના વખાણ
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારે પ્રધાનમંત્રી મોદીના ખૂબ વખાણ કર્યા હતા. લખનઉમાં હોળી મિલન સમારંભ દરમિયાન તેમણએ કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની વૈશ્વિક છબી ખૂબ જ બદલાઈ રહી છે. આ દરમિયાન તેમણે રશિયા, યુક્રેન અને પોતાના પાડોશી દેશ પાકિસ્તાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, રશિયા યુક્રેન પર ભારતનું વલણ ચારેતરફથી વખાણવા લાયક છે. રક્ષામંત્રીએ આગળ કહ્યું કે, ભારતના વિરોધીઓ પણ ભારતના વલણની પ્રશંસા કરી રહ્યા છે.
પાકિસ્તાને પણ ભારતની વિદેશનીતિના વખાણ કર્યા
તેમણે કહ્યું કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પણ રશિયા યુક્રેન પર ભારતના વલણનું સ્વાગત કર્યું છે. આપને જણાવી દઈએ કે, સિંહની આ ટિપ્પણી પાક. પીએમ ઈમરાન ખાન દ્વારા રશિયા યુક્રેન યુદ્ધ પર નરેન્દ્ર મોદી સરકારની તટસ્થ નીતિના વખાણ કર્યાના થોડા દિવસ બાદ આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાને ભારતીય વિદેશ નીતિના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું આપણા પાડોશી દેશ હિન્દુસ્તાનના વખાણ કરૂ છું. હંમેશાથી ભારતની એક સ્વતંત્ર વિદેશ નીતિ રહી છે. આજે ભારત અમેરિકાનો સહયોહી દેશ છે અને તે ક્વાડનો પણ ભાગ છે. તે પ્રતિબંધો છતાં પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યો છે, કારણ કે, તેમની નીતિ લોકોની ભલાઈ માટે છે.
38-40 વર્ષ બાદ એવું બન્યું કે, સતત બીજી વાર કોઈ પક્ષની સરકાર બની
તો વળી રક્ષામંત્રી રાજનાથ સિંહે એ વાતના વખાણ કર્યા કે, ભારત સરકારે સ્વદેશી વેક્સિનના માધ્યમથી લોકોના જીવ બચાવવાની સાથે સાથે અલગ અલગ દેશોમાં નિર્યાત કરીને કોરોના મહામારી દરમિયાન જબરદસ્ત ભૂમિકા નિભાવી છે. ભારતને તહેવારોનો દેશ ગણાવાયા છે. દેશમાં મનાવાતા તમામ તહેવારો પાછળ કોઈને કોઈ ઉદ્દેશ્ય હોય છે. આ તહેવારની સાથે સાથે લોકતંત્રનો પણ તહેવાર મનાવાય છે. આપ લોકોએ યુપીમાં ફરીથી અમારી સરકાર બનાવી છે, લગભગ 38-40 વર્ષ બાદ ફરી વાર કોઈ સત્તા સતત બીજી વાર સત્તામાં આવી છે.
નાના નાના ભૂલકાઓ પણ જાણે છે પીએમ મોદીનું નામ
રાજનાથ સિંહે આગળ જણાવ્યું હતું કે, યોગીજીના નેતૃત્વમાં 2017થી લઈને અત્યાર સુધીમાં અમારી સરકારે જે કામ કર્યું છે, જનતાની અપેક્ષાઓને અનુરૂપ કર્યું છે. અને અમે એવું કહી શકીએ કે, દરેક કસોટીમાં યોગીજી ખરાં ઉતર્યા છે. તેમણે કહ્યુ કે, આ એનડીએનું પરિણામ છે, કે હવે રાજ્યસભામાં પણ 100નો આંકડો થઈ ગયો છે. તો વળી પ્રધાનમંત્રી મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે, તેઓ એટલા લોકપ્રિય નેતા છે કે, દેશનું નાનુ છોકરુ પણ તેમનું નામ જાણે છે. દેશના ગરીબો, મધ્યમવર્ગ માટે મોદીજીએ બહું મોટા મોટા કામો કર્યા છે.