લોકડાઉન બાદ દેશમાં કોરોનાવાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. લોકડાઉન દરમિયાન 25 નમૂનામાં એક કેસ પોઝિટિવ આવતો હતો. પરતું હાલ દર 10 નમૂનામાં એક કેસ પોઝિટિવ આવી રહ્યો છે.
દેશમાં વધ્યું કોરોનાનું સંક્રમણ
અનલૉક-1માં દર 10 નમૂનાએ એક કેસ પોઝિટિવ
લૉકડાઉનમાં દર 25 નમૂનામાં 1 કેસ પોઝિટિવ આવતો
19 મેથી 21 જૂન દરમિયાન, દૈનિક તપાસમાં વધારો થયો છે. આ દરમિયાન 44 લાખથી વધુ તપાસ કરવામાં આવી છે. ICMR અનુસાર 19મે સુધી કોરોના વાયરસના 24 લાખ 4 હજાર ટેસ્ટ થયા હતા. 21 જૂન સુધીમાં આ સંખ્યા 68 લાખ 07 હજારે પહોંચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, તપાસ વધુ થતાં સંક્રણણ દર પણ 4.89થી વધીને 10.34 ટકાએ પહોંચી ગયો છે. દેશના કેટલાક જિલ્લાઓમાં દર 71 ટકા સુધીનો છે. એટલે કે, 100 નમૂનાઓની તપાસવામાં 70 પોઝિટિવ કેસ મળી રહયા છે.
ICMRના અધિકારીએ આપ્યું નિવેદન
ICMRના એક અધિકારીએ જણાવ્યું કે, વધુ સંક્રમણવાળા જિલ્લાઓનો સર્વે ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વધુ સંક્રમણ હોવાનું સામે આવ્યું છે.
અત્યાર સુધીમાં કોરોનાનો રિકવરી દર 56 ટકાએ પહોંચ્યો
કોરોના વાયરસના કહેર વચ્ચે સારા સમાચાર મળી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં કોરોનાનો રિકવરી દર 56 ટકાએ પહોંચી ગયો છે. સોમવારે એક જ દિવસમાં કુલ 11 હજાર લોકોને રજા અપાઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે, વધુ વસ્તી ધરાવતા દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
જેના કારણે અનેક નવા રેકોર્ડ પણ સર્જાઈ રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 14 હજાર 933 નવા કેસ સામે આવ્યા છે. તો એક જ દિવસમાં 312 લોકોના મોત પણ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4 લાખ 40 હજાર 215 કેસ સામે આવી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 14 હજાર 11 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.