ટી-૨૦ વર્લ્ડકપ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. પછી આગામી વર્ષે ૨૦૨૩માં ભારત વન ડે વર્લ્ડકપની યજમાની કરશે. આ સ્થિતિમાં BCCIએ બધા ખેલાડીઓને નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ) દ્વારા બનાવવામાં આવેલા ફિટનેસ પ્લાનને ફોલો કરવાની સૂચના આપી છે. ૨૬ માર્ચથી શરૂ થઈ રહેલી IPLમાં પણ ખેલાડીઓએ આ પ્લાન ફોલો કરવો પડશે.
2023માં ભારત વન ડે વર્લ્ડકપની યજમાની કરશે
BCCIએ ખેલાડીઓને ફિટનેસ પ્લાનને ફોલો કરવાની સુચના આપી
નેશનલ ક્રિકેટ એકેડમી દ્વારા ફિટનેસ પ્લાન બનાવવામાં આવ્યો છે
IPLમાં રમતા ટોચના ક્રિકેટર્સને ફિટ રાખવા માટે ફિટનેસ પ્લાન બનાવાયો
એનસીએની દેખરેખમાં બનાવવામાં આવેલો ફિટનેસ પ્લાન BCCI અને પસંદગીકારોના નિર્દેશ પર IPLમાં રમતા ટોચના ક્રિકેટર્સને ફિટ રાખવા માટે બનાવાયો છે. IPLની સિઝનમાં સતત એનસીએના ફિઝિયો, ટ્રેનર્સ અને હેડ કોચ રાહુલ દ્રવિડ ખેલાડીઓ દ્વારા આ ફિટનેસ પ્લાન ફોલો થાય તેનું ધ્યાન રાખશે. BCCIએ બધી IPL ટીમને આ અંગેની જાણકારી આપી દીધી છે. વીવીએસ લક્ષ્મણની અધ્યક્ષતાવાળી એનસીએનો ખેલાડીઓની ફિટનેસમાં મહત્ત્વનો રોલ રહેવાનો છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-૨૦ વર્લ્ડકપ અને આગામી વર્ષે ભારતની ધરતી પર રમાનારા વન ડે વર્લ્ડકપમાં જે ખેલાડીઓની રમવાની શક્યતા છે તેમનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. આ જ કારણથી BCCIએ IPL શરૂ થવાના બે સપ્તાહ પહેલાં બધા કરારબદ્ધ ખેલાડીઓને એનસીએમાં ફિટનેસ મોનિટરિંગ કેમ્પમાં બોલાવ્યા હતા.
અમારા માટે ફિટનેસ સૌથી પહેલા: BCCI સચિવ
BCCIના સચિવ જય શાહે કહ્યું, ''અમારા માટે ફિટનેસ સૌથી પહેલાં છે અને અમે ઇચ્છીએ છીએ કે કોઈ પણ દ્વિપક્ષી અથવા આંતરરાષ્ટ્રીય મેચ પહેલાં આપણા ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ હોય. અમે એનસીએમાં ફિટનેસ કેમ્પ આયોજિત કર્યો અને આવા કેમ્પ હજુ પણ યોજાતા રહેશે. અમારું લક્ષ્ય બસ એટલું જ છે કે BCCI દ્વારા સેટ કરવામાં આવેલા ફિટનેસ પ્લાનમાં બધા ખરા ઊતરે.'' એક ક્રિકેટરે જણાવ્યું, ''કોચ રાહુલ દ્રવિડે કહ્યું છે કે તમે ૧૦ મહિના ભારત તરફથી રમો છો અને બે મહિના IPLમાં રમો છો. આથી ફિટનેસના મામલે તમારે સપોર્ટ સ્ટાફ અને એનસીએ પર વિશ્વાસ કરવો જોઈએ. ઘણા ખેલાડીઓએ IPL ટીમના ફિઝિયો અને ટેનર્સ આ અંગે શું પ્રતિક્રિયા આપશે એની ખેલાડી ચિંતા ના કરે. BCCI આ મુદ્દા સંભાળી લેશે.''
હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે શંકાની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં રોહિત શર્માએ ટી-૨૦ અને વન ડેમાં હેમસ્ટ્રિંગની ઈજાને કારણે બ્રેક લીધો અને એક દિવસ બાદ જ તે IPLની ફાઇનલ રમવા મેદાનમાં ઊતર્યો ત્યારે ઘણા સવાલો ઊઠ્યા હતા. હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે શંકાની સ્થિતિ છે. BCCI આવી સ્થિતિમાંથી બચવા માટે ફિટનેસ પ્લાન પર કામ કરી રહી છે. BCCIએ બધી ફ્રેંચાઇઝીને જણાવી દીધું છે કે ફિટનેસ મેનેજમેન્ટમાં આ વખતે એનસીએનો ડાયરેક્ટ રોલ રહેશે.