અમેરિકાના ભાવિ રક્ષા મંત્રી લોયડ ઑસ્ટિન અને વિદેશ મંત્રી એન્થની બ્લિંકેનએ ભારતના પાડોશી દેશો પાકિસ્તાન અને ચીનને ચેતવણી આપી દીધી છે, બાયડન વહીવટી તંત્રના રક્ષાપ્રધાન ઑસ્ટિને કહ્યું હતું કે પાકિસ્તાને આતંકી સંગઠન લશ્કરે તૈયબા પર પૂરતા પગલાં નથી ભર્યા.
અમેરિકાના નવા તંત્રની ચીન-પાકિસ્તાનને ચેતવણી
નવા રક્ષા મંત્રી ઑસ્ટિને પાકિસ્તાનને આતંકી સંગઠનો પર પગલાં લેવા કહ્યું
ચીનને અમેરિકન વિદેશમંત્રીએ નેશનલ સિક્યુરિટી માટે બંતાવ્યો મોટો ખતરો
આજે 20મી જાન્યુઆરીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેકટ જો બાયડન વિધિવત રીતે અમેરિકાના 46માં પ્રમુખનો કાર્યભાર સંભાળવા જઈ રહયા છે અને ટ્રમ્પ વહીવટીતંત્રના કાર્યકાળનો આજે અંત આવી રહ્યો છે ત્યારે વહીવટીતંત્ર બદલાયુ તો પણ ચીન અને પાકિસ્તાન પ્રત્યે અમેરિકાની કડક નીતિ ચાલુ જ રહેશે તે વાતનો ચિતાર આજે અમેરિકા દ્વારા આપી દેવામાં આવ્યો હતો.
બાયડન વહીવટી તંત્ર દ્વારા આજે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે ભારતની ભૂમિ ઉપર નજર રાખીને બેઠેલા ચીનની સામે ટ્રમ્પ પ્રશાસનની જ માફક જૂની કડકાઈ વાળી નીતિ લાગૂ જ રહેશે, અને પાકિસ્તાનને લશ્કરે તૈયબા અને અન્ય આતંકી સંગઠનો પર કાર્યવાહી કરવા માટે બાયડન પ્રશાસન દ્વારા ચેતવણી આપી દેવામાં આવી છે, આમ ભલે અમેરિકામાં નેતૃત્વ બદલાય પરંતુ આ બંને દેશોની સામેની અમેરિકાની નીતિમાં ખાસ કોઈ બદલાવ આવે તેવું લાગતું નથી.
ચીન એક પ્રાદેશિક સત્તા બની ચૂક્યું છે : અમેરિકન રક્ષામંત્રી
અમેરિકાના ભાવિ સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે ચીન પહેલાથી જ એક મજબૂત રિજિયોનલ પાવર તરીકેનું સ્થાન જમાવી ચૂક્યું છે અને હવે તેનું લક્ષ્ય રેગ્યુલેટિંગ એટલે કે નિયંત્રણકારી શક્તિ બનવાનું છે. અમેરિકી સાંસદોને સંબોધતા તેમને જણાવ્યું હતું કે ચીન આપણી સાથે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં સ્પર્ધા કરવા માટે પ્રયત્નો કરી રહ્યું છે, ત્યારે આખી સરકારે સાથે મળીને એક દિશામાં કામ કરવાની જરૂર છે.
રશિયા અને ચીન વિષે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ચીનની આક્રમકતા ખરેખર એક ખૂબ જ ખરાબ વિચાર છે અને ચીન હાલના સમયમાં એક પ્રભાવી ખતરો છે કેમ કે તે અત્યાર ઉભરી રહ્યું છે અને રશિયા ખતરો છે પરંતુ તેની શક્તિ ઘટી રહી છે, તે જ સમયે અમેરિકાના ભાવિ વિદેશ મંત્રી એન્થોનીએ ચીનને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટા ખતરા સમાન ગણાવ્યું હતું.
અમેરિકાના સંરક્ષણ પ્રધાને પાકિસ્તાનને આપી ચેતવણી
આ સાથે જ અમેરિકાના નવા રક્ષા મંત્રી ઑસ્ટિને પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે જો કે પાકિસ્તાને અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયામાં ઘણું યોગદાન આપ્યું છે પરંતુ ભારત વિરોધી આતંકી સંગઠન જૈશે મોહંમદ અને લશ્કરે તૈયબાની સામે ઉઠાવેલા પગલાં અપૂરતા છે અને હું મારા કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન પર આ માટે પ્રેશર બનાવીશ કે તે તેની જમીનનોઓ ઉપયોગ આતંકવાદીઓના શરણસ્થળ તરીકે ન થવા દે.