ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ભલે અલવિદા કહી દીધુ હોય. પરંતુ તેનાથી તેમની વાર્ષિક આવક પર કોઈ અસર થતી નથી. છેલ્લાં એક વર્ષમાં તેમની આવકમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે.
મહેન્દ્ર સિંહ ધોનીની વાર્ષિક આવક પર કોઈ અસર થતી નથી
છેલ્લાં એક વર્ષમાં તેમની આવકમાં લગભગ 30 ટકાનો વધારો થયો
2021-22માં તેમની આવક લગભગ 130 કરોડની આજુબાજુ રહેવાની આશા
ધોનીએ એડવાન્સ ટેક્સ તરીકે 38 કરોડ રૂપિયાની કરી ચૂકવણી
આવકવેરા વિભાગમાં ધોની દ્વારા જમા કરવામાં આવેલા એડવાન્સ ટેક્સ તેની ખાતરી આપે છે. તેમણે વર્ષ 2021-22 માટે આવકવેરા વિભાગને એડવાન્સ ટેક્સ તરીકે 38 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે, જ્યારે ગયા વર્ષે એટલેકે વર્ષ 2020-21માં આ રકમ 30 કરોડની આજુબાજુ હતી. આવકવેરા વિભાગના સૂત્રો મુજબ મહેન્દ્ર સિંહ ધોની આ વર્ષે પણ ઝારખંડના સૌથી મોટા અંગત કરદાતા રહ્યાં છે.
ધોની ઝારખંડમાં સૌથી મોટા કરદાતા
વિશેષજ્ઞો મુજબ ધોનીની તરફથી જમા કરાવવામાં આવેલા 38 કરોડના એડવાન્સ ટેક્સના આધારે વર્ષ 2021-22માં તેની આવક લગભગ 130 કરોડની આજુબાજુ રહેવાની આશા છે. આવકવેરા વિભાગના આંકડા મુજબ ધોનીએ જ્યારથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી સતત ઝારખંડમાં અંગત શ્રેણીમાં સૌથી મોટા કરદાતા છે.
IPLમાં ધોનીનુ સ્થાન યથાવત
વર્ષ 2019-20માં તેમણે 28 કરોડ અને તેની પહેલા 2018-19માં પણ લગભગ આટલી રકમ આવકવેરા તરીકે ચૂકવી હતી. આની પહેલા તેમણે 2017-18માં 12.17 કરોડ અને 2016-17માં 10.93 કરોડનો આવકવેરો ચૂકવ્યો હતો. સ્વાભાવિક છે કે 15 ઓગષ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના બધા ફોર્મેટમાંથી ખેલાડી તરીકે અંતર બનાવ્યાં બાદ પણ ધોની બિઝનેસની પિચ પર સારી ઈનિંગ રમી રહ્યાં છે. જો કે, ક્રિકેટર તરીકે આઈપીએલ સાથે તેમનુ જોડાણ યથાવત છે.