ઇથિયોપિયન એરલાઇન્સનું બોઇંગ 737 વિમાન રવિવારે ક્રેશ થયુ હતુ. ત્યારે તેમાં સવાર તમામ 149 યાત્રી અને 8 ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. જેમાં સુરતના એક જ પરિવારના પતિ-પત્ની અને 2 બાળકીના મોત થયા છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં મૂળ વડોદરાના અને વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા પરિવારના બે બાળકો સહિત 6 લોકોના મોત નીપજ્યા હતા.
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વીટર પર આ દુઃખદ ઘટનાની જાણકારી મેળવી ઇથિયોપિયા અને નૈરોબીમાં ભારતીય એમ્બેસીને પીડિત પરિવારનો દરેક સંભવ મદદ કરવાના આદેશ આપ્યા છે. ઇથોપિયામાં ભારતીય એમ્બેસીએ હેલ્પલાઇન નંબર પણ શૅર કર્યો છે.
સુષમા સ્વરાજે પીડિત પરિવારના સભ્યોની ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે, મેં વૈદ્ય પરિવારના દીકરા સાથે ટોરન્ટોમાં આજે ફોન પર વાત કરી છે. હું એ જાણીને અત્યંત દુઃખી છું કે, તમે તમારાં પરિવારના 6 સભ્યો વિમાન દુર્ઘટનામાં ગુમાવી દીધા. મેં ઇથોપિયા અને કેન્યામાં ભારતીય એમ્બેસીમાં વાત કરી છે અને તમારી સાથે સંપર્ક કરીને તમારી દરેક સંભવ સહાયતાનો નિર્દેશ કર્યો છે.
મળતી માહિતી મુજબ, મૃતકોમાં 35 દેશોના નાગરિકો સામેલ છે. પ્લેન ઇથિયોપિયાની રાજધાની અદીસ અબાબાથી કેન્યાના નૈરોબી જઇ રહ્યું હતું. તે દરમિયાન અદીસ અબાબાથી ટેક ઓફ થયાના 6 મિનિટ બાદ ક્રેશ થયું હતુ.