આવશ્યક વસ્તુ અધિનિયમ 1955માંથી બટાકા, ડુંગળી, દાળ-ચોખાં, ખાદ્ય તેલ જેવી વસ્તુઓને કાઢી નાખવામાં આવી છે. જેમાં લોકસભામાં The Essential Commodities (Amendment) Bill- 2020ને મંજૂરી આપી દેવામાં આવી હતી અને ગઈકાલે રાજ્યસભાએ પણ તેને મંજૂરી આપી દીધી છે.
સરકાર કહી રહી છે કે આ વસ્તુઓને આવશ્યક વસ્તુમાંથી કાઢી દેવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને ઉત્પાદનન સારા ભાવ મળી રહેશે. કૉર્પોરેટ જગત પણ ખુલીને આ વિષયમાં રૂચી લઇ શકશે જોકે વિપક્ષનું માનવું છે કે ધીમે ધીમે બધી વસ્તુઓને પ્રાઈવેટ સેક્ટરના હવાલે કરવામાં આવી રહી છે અને સામાન્ય માણસ મોંઘવારીમાં પીસાઈ જશે.
શું છે આ કાયદો ?
કાળાબજારી અને સંગ્રહખોરીને રોકવા માટે વર્ષ 1955માં આ કાયદો બનાવવામાં આવ્યો હતો જેમાં ટાકા, ડુંગળી, દાળ-ચોખાં, ખાદ્ય તેલની સાથે દવાઓ અને પેટ્રોલીયમ પદાર્થો સામેલ છે. જોકે સમય સમય પર સરકારોએ તેમાં ફેરફાર કર્યા.
આ કાયદો કેટલો મદદરૂપ છે તે આ વાતથી જાણી શકાય છે કે કોરોના વાયરસ જ્યારે ભારતમાં આવ્યો ત્યારે ઘણા બધા લોકો માસ્ક અને સેનેટાઇઝર પર લોકોને લૂંટી રહ્યા હતા એવામાં સરકારે આ કાયદાની મદદથી જ ભાવ પર નિયંત્રણ મૂક્યા હતા.
હવે સરકારે આવશ્યક ચીજવસ્તુની યાદીમાંથી ઘણી બધી વસ્તુઓને કાઢી નાખી છે. જેમાં અનાજ,દાળ, તેલ-તેલીબિયાં, બટાકા અને ડુંગળીને યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે જેનો અર્થ છે કે આ વસ્તુઓને સંગ્રહ કરવાની જે લીમીટ હતી તે હટાવી દેવામાં આવી છે. હવે આ વસ્તુના સંગ્રહ કરવાથી કોઈને જેલ નહીં થાય.
સામાન્ય લોકો પર શું અસર થશે ?
સરકારે 65 વર્ષથી આ વસ્તુઓના વેચાણ, ઉત્પાદન અને પુરવઠા પર નિયંત્રણ કરી રહી હતી પણ હવે તે ખુલ્લા બજારના હવાલે થઈ ગઈ. હવે સરકારે અનાજ હોઉં કે દાળ, ડુંગળી કે બટાકા કોઈના પણ ભાવમાં હસ્તક્ષેપ કરશે નહીં. એવામાં ઉદ્યમી લોકો મનફાવે તેમ ખેડૂતો પાસેથી ગમે તેટલી વસ્તુ ખરીદીને તેનો સંગ્રહ કરી શકશે.
વિપક્ષીઓએ ઉઠાવ્યા સવાલ
હવે આ કાયદો હટાવી દેવામાં આવતા તેની સંગ્રહખોરીને મંજૂરી મળી ગઈ છે. જેના કારણે પૂંજીપતિઓ અને નફાખોરોને ફાયદો મળી જશે. વિપક્ષીઓ કહી રહ્યા છે કે પહેલા આ કાયદો હતો ત્યારે નફાખોરી અને સંગ્રહખોરી પર નિયંત્રણ હતું પણ હવે મંજૂરી મળી ગઈ જેના કારણે મોંઘવારી વધી જશે.
સરકારે કહ્યું હવે કાયદાની જરુર નથી
સરકારે કહ્યું કે જ્યારે દેશમાં ભૂખમરો હતો ત્યારે આપણે બહારથી આવતા અનાજ પર નિર્ભર હતા અને એવામાં આ બધી વસ્તુઓનો સંગ્રહ કરવો જરૂરી હતો. સરકારે કહ્યું કે હવે તો દેશ નિકાસ કરી શકે તેવી સ્થિતિમાં છે. જૂના કાયદાના કારણે દરેક જગ્યા પર સ્ટોક લિમીટ લાગી જતી હતી અને તેના કારણે પ્રાઈવેટ ક્ષેત્રનું રોકાણ થઇ શકતું ન હતું. મોટા કોલ્ડ સ્ટોરેજ ના બની શક્યા કારણ કે પ્રતિબંધનો ભય રહેતો હતો. નવા કાયદાથી હવે રોકાણ વધી જશે.