જમીન રિ-સર્વેની કામગીરીમાં રહેલા છબરડા સરકારનો પિછો છોડવાનું નામ નથી લઈ રહ્યા. અરવલ્લી જિલ્લામાં જમીન રીસર્વેની કામગીરીમાં અનેક છબરડા હજી પણ યથાવત રહેતાં ખેડૂતોની પરેશાની જેમની તેમ રહી છે. જિલ્લામાં હજી પણ અનેક ખેડૂતોની અરજીઓનો નિકાલ બાકી છે. જેના કારણે ખેડૂતો પારિપારીક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વારંવાર રજુઆતો છતાં પણ રિસર્વેમાં સુધારો નહિ થતાં જમીનો પરિવારના ઝઘડાનું કારણ બની રહી છે.
અનેક ખેડૂતોની જમીનોમાં સર્વેના નામે છબરડા
કહેવાય છે કે જર જમીન અને જોરુ આ છે કજિયાના છોરુ. હાલ અરવલ્લી જિલ્લાના ખેડૂતોનો માટે પોતાની જમીનો પારિવારિક કજિયાનું કારણ બની ગઈ છે. જો કે તેમાં વાંક પરિવારજનોનો નહીં પરંતુ સરકારી તંત્રનો છે. કેમ કે સરકારે મોટે ઉપાડે અને વૈજ્ઞાનિક પદ્ધિતિથી જમીન રિ-સર્વેની કામગીરી તો હાથ ધરી હતી. પરંતુ તેમાં બેદકારી અને અજ્ઞાનને કારણે અનેક છબરડા રહી ગયા છે. જમીન માપણીમાં આ ખેડૂતોની જમીન ઘટી ગઈ છે તો કેટલાક ખેડૂતોની જમીન વધી ગઈ છે. એક સર્વે નંબરના ત્રણ ત્રણ સર્વે નંબર પણ થઈ જવાના છબરડા બહાર આવ્યા છે. ઉપરાંત પોતાના ખેતરમાં કોઈ બીજા જ ખેડૂતોનો રસ્તા હક હોય તેવા ગંભીર છબરડા સામે આવ્યા છે.
3300 ખેડૂતોની અરજીઓ નિકાલ બાકી છે
સેટેલાઇટ દ્વારા કરવામાં આવેલી જમીન માપણીમાં અરવલ્લી જિલ્લામાં કરવામાં આવી હતી. જેમાં અનેક ખેડૂતોની જમીનોમાં સર્વેના નામે છબરડા બહાર આવ્યા છે. જેને દૂર કરવા માટે અત્યાર સુધીમાં કુલ સોળ હજાર છસો તોંતેર ખેડૂતોએ રીસર્વેની માગણી કરતી અરજીઓ કરી છે. પરંતુ જિલ્લાતંત્રની ધીમી ગતિના કારણે જીલ્લા ડીઆઈએલઆર કચેરી દ્વારા અત્યાર સુધીમાં માત્ર નવ હજાર બસો આડત્રીસ અરજીઓનો જ નિકાલ કરાયો છે. જ્યારે 3300 ખેડૂતોની અરજીઓ નિકાલ બાકી છે. એટલું જ નહીં જે ખેડૂતોની જમીનનો રિસર્વે થયો છે તેમાં પણ સંતોષજનક કોઈ મોટા ફેરફાર થયા નથી. રી સર્વે બાદ પણ અનેક ખેડૂતોની જમીનની સ્થિતિ જૈસે થે જ રહી છે.
જમીન સર્વેમાં ઊભા થયા ગુંચવાડા
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા ખોડંબા ગામના 20થી વધુ ખેડૂતો જમીન સર્વેથી ઊભી થયેલી સમસ્યાને કારણે પરેશાન થઈ ગયા છે. સેટેલાઇટ સર્વેથી ખેડૂતોએ પોતાની જમીન ગુમાવવી પડી હોય તેવો ભાવ અનુભવી રહ્યા છે. એટલું જ નહીં જમીન સર્વેમાં ઉભા થયેલા ગુંચવડાને કારણે જમીન સંબંધિત પારિવારીક ઝગડાનું પ્રમાણ પણ વધી ગયું છે. ત્યારે ખેડૂતો દ્વારા જમીનોની ફરીવાર માપણી કરી મૂળ માપ મુજબ જમીન કરી આપવામાં આવે તેવી માંગ ઊઠી છે. સમગ્ર મામલે જિલ્લા ડીઆઇએલઆર અધિકારીઓનું કહેવું છે કે હાલ અરજીઓના નિકાલની કામગીરી ચાલી રહી છે જે આ મહિનાના અંત સુધીમાં નિકાલ કરી દેવામાં આવશે.
છેલ્લા 2015ના વર્ષથી ઉદભવેલી સમસ્યાનો આજદિન સુધી નિકાલ થયો નથી. ત્યારે આ એક માસમાં તંત્ર દ્વારા અરજીઓના નિકાલ અંગે ગતિવિધિ કેવી ગતિથી કરશે જોવું રહ્યું.