શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીઓમાં ગપલા બાજી ચાલી રહી છે. ક્યાંક સગાવાદ રાખી ભરતી થઈ રહી છે તો ક્યાંય વહીવટના નામે જો હુકમી ચલાવવામાં આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. એક જ દિવસમાં બે-બે પેપરમાં ભૂલ નીકળતા યુનિ.ના આયોજન સામે અનેક સવાલ થઈ છે.
CPCની જગ્યાએ અન્ય પેપર અપાયું, BSCની પરીક્ષામાં સિલેબસ બહારનું પૂછ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાપરવાહી તો જુઓ. LLB સેમેસ્ટર-5ની પરીક્ષાના CPCનું પેપર હતું પણ યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારીને કારણે CPCની જગ્યાએ અન્ય પેપર નીકળતા દોડાદોડી થઈ ગઈ હતી. સવારે 10:30ના સમયે જે પેપર શરૂ થઇ જવું જોઈતું હતું તે પેપર બદલાઇ જતાં 10:55 વાગ્યે પેપર આપી શરૂ કરાયું હતું. તો એ જ દિવસે BSCની પરીક્ષાના પેપરમાં પણ ભૂલ હોવાનો વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે. BSCના સેમેસ્ટર 5ના કેમેસ્ટ્રીના પેપરમાં સિલેબસ બહારનું પૂછાતા વિદ્યાર્થીઑ અટવાઈ ગયા હતા. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આયોજન પર સવાલો ઊભા થઈ રહ્યા છે કે કોની ભૂલના કારણે અલગ વિષયનું પેપર વિદ્યાર્થીઓને અપાયું. અને BSCની પરીક્ષામાં સિલેબસ બહારનું કેમ પૂછવામાં આવ્યું? હાલ તો યુનિવર્સિટીના સત્તાધીશો સમગ્ર આરોપ મામલે મૌન સેવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિ. વિવાદનું ઘર
એકાદ મહિના અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુનિયર એન્જિનિયરને બાંઘકામ સમિતિના નિષ્ણાંત બનાવી દેવામાં આવ્યા હતા. જેને લઈને ભારે વિવાદ થયો હતો. તે પહેલા પણ આસિટન્ટ પ્રોફેસરની ભરતીને લઈને અહિયા વિવાદ સર્જાયો હતો.જે બાદ ભાજપના જ કોર્પોરેટરે ભાજપના સિન્ડિકેટ સભ્યની નિયુક્તી કરી હોવાનો વિવાદ ચગ્યો હતો. જેને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા હતા.
મહત્વના નિર્ણય પહેલા રાજ્ય સરકાર સાથે પરામર્શ જરૂરી
યુનિવર્સિટીઓ વિવાદનું ઘર બનતા ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડી આદેશ જારી કર્યો છે કે કુલપતિને મહત્વના નિર્ણય અગાઉ સરકારની મંજૂરી લેવી પડશે જેમાં સેનેટ, સિન્ડીકેટની ચૂંટણી નિર્ણય માટે સરકારનું માર્ગદર્શન ફરજિયાત તો મોટા નાણાંકીય ખર્ચ, બજેટની જોગવાઇ મુદ્દે અને કાયમી કે કરાર આધારીત ભરતી પ્રક્રિયા માટે માર્ગદર્શન લેવા સુચન આપી દેવામાં આવ્યું છે. રાજ્યની તમામ યુનિવર્સીટીને પત્ર દ્વારા આ અંગેની સુચના આપી દેવામાં આવી છે.