એપેલેટ ટ્રિબ્યૂનલે જણાવ્યું હતું કે રિલાયન્સ કોમ્યુનિકેશન વિરુદ્ધ નાદારીની પ્રક્રિયા રિવાઇવ થશે તો સ્વિડિશ ઉપકરણ નિર્માતા કંપની એરિક્સને રૂ. પપ૦ કરોડ વ્યાજ સાથે રિલાયન્સ કોમ્યુનિકેશનને પરત કરવા પડશે. અનિલ અંબાણીની માલિકીની ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનને નાદારીની પ્રક્રિયા હેઠળ લાવવી કે નહીં તે અંગે હવે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યૂનલ (એનસીએલએટી) નિર્ણય કરશે.
રિલાયન્સ કોમ્યુનિકેશને ટ્રિબ્યૂનલને આ કેસમાં નાદારી પ્રક્રિયા આગળ વધારવા અપીલ કરી છે. કંપની પોતાના કરજદારોને તેમની લેણી નીકળતી રકમ ચૂકવવામાં નિષ્ફળ રહી છે. આરકોમની આ અરજી પર સ્વિડનની ગિયર નિર્માતા કંપની એરિક્સન વિરોધ કરી રહી છે.
આરકોમે ગયા મહિને એરિક્સનને તેના રૂ. ૫૫૦ કરોડ ચૂકવી આપ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કંપનીએ આ પેમેન્ટ કર્યું હતું. એનસીએલએટીના ચેરમેન એસ.જે. મુખોપાધ્યાયના વડપણ હેઠળની બે સભ્યની બેન્ચનું માનવું છે કે જો આરકોમ વિરુદ્ધ નાદારી પ્રક્રિયાની મંજૂરી આપવામાં આવશે તો એરિક્સને રિલાયન્સ કોમ્યુનિકેશનને રૂ. ૫૫૦ કરોડ પરત ચૂકવવા પડશે. આમ, હવે આરકોમ ખરેખર નાદાર છે કે કેમ તે એનસીએલએટી નિર્ણય કરશે.