કોરોના મહામારી સામે લડવા માટે નવા વર્ષ એટલે કે જાન્યુઆરી, ૨૦૨૧માં વેક્સિન આવવાના સમાચારથી તમામ લોકોને મોટી રાહત મળી હતી. એવી આશા હતી કે વેક્સિન આવ્યા બાદ ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની જશે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે પ્રકૃતિ માનવજાતથી હજુ પણ ભયંકર નારાજ છે.
કોરોનાની ત્રીજી ઘાતક લહેરનો કહેર
નવો સ્ટ્રેન જૂના વાઈરસ કરતાં ૭૦ ટકા વધુ ચેપી
નવો સ્ટ્રેન આપણા દેશ માટે પણ બહુ મોટો પડકાર
બ્રિટનમાં કોરોના વાઈરસના નવા રૂપ (સ્ટ્રેન)ની જાણ થયા બાદ વાતાવરણમાં હતાશા છવાઈ ગઈ છે. ભારત સહિત અનેક દેશોએ બ્રિટનથી આવનારી ફ્લાઈટ પર રોક લગાવી દીધી છે. ૨૦૧૯ના અંતિમ દિવસોમાં કોરોના વાઈરસની જાણકારી સામે આવી ત્યારે કોઈએ તેને ગંભીરતાથી લીધી નહોતી. ૩૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ કેરળમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ચીનના વુહાન શહેરથી પરત ફરેલા વિદ્યાર્થીની તબિયત બગડ્યા બાદ જાણ થઈ હતી કે તે કોરોના પોઝિટિવ છે. ત્યારબાદના સમગ્ર ઘટનાક્રમથી આપણે સૌ બહુ સારી રીતે પરિચિત છીએ. કોરોનાથી મોતને ભેટેલા લોકોના મૃતદેહો લઈ જતી એમ્બ્યુલન્સની સાયરન હજુ પણ આપણા કાનમાં ગૂંજે છે. ૨૪ માર્ચના લોકડાઉન બાદ જાણે સમગ્ર દેશ થંભી ગયો હતો.
નવો સ્ટ્રેન જૂના વાઈરસ કરતાં ૭૦ ટકા વધુ ચેપી
બ્રિટનમાં કોરોના વાઈરસના નવા વેરિઅન્ટથી સ્થિતિ ફરી કથળી રહી છે. એક સમયે કોવિડ-૧૯ની ચર્ચા કરતા લોકો હવે કોવિડ-૨૦ વિશે વાત કરતા થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના ઈમર્જન્સી ચીફ ડો. માઈક રેયાનના મતે નવો સ્ટ્રેન મળી આવવો સામાન્ય વાત છે અને તે હજુ બેકાબૂ બન્યો નથી, પણ નિષ્ણાતોનો દાવો છે કે, આ નવો સ્ટ્રેન જૂના વાઈરસ કરતાં ૭૦ ટકા વધુ ચેપી અને ખતરનાક સાબિત થઈ શકે છે.
હાલની સ્થિતિએ ગાફેલ રહેવું પાલવે તેમ નથી
કોઈ પણ વાઈરસમાં સતત મ્યૂટેશન (સ્વરૂપ બદલાવું) થતું જ રહે છે.મોટાભગના વેરિઅન્ટ જાતે જ મ્યુટેટ થયા બાદ મરી જાય છે, પરંતુ ક્યારેક વાઈરસ મ્યુટેટ થયા બાદ પહેલા કરતાં વધુ મજબૂત અને ભયાનક બનીને સામે આવે છે. આ દિશામાં હજુ સંશોધનો થયા બાદ જ વધુ માહિતી મળશે પણ હાલની સ્થિતિએ ગાફેલ રહેવું પાલવે તેમ નથી. આપણે ત્યાં માસ્ક પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે પણ વારંવાર અપીલ કરવી પડે છે અને આકરા દંડનો ડર ના હોય તો લોકો આ નિયમો પણ પાળતા નથી એ વાતના આપણે સૌ સાક્ષી રહ્યા છીએ. મહામારીના આ કપરાકાળમાં જો આપણે ખુદ સાવચેત નહીં રહીએ તો દુનિયાની કોઈ વેક્સિન આપણને બચાવી શકવા સમર્થ નહીં હોય. અનલોકમાં આપણે બેજવાબદાર બનીને ફરીશું તો તેનાં માઠાં પરિણામો ભોગવવાં જ પડશે. દિવસ-રાત જોયા વગર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા લાખો આરોગ્યકર્મીઓની મહિનાઓની મહેનત પર પાણી ફેરવી દેવાનો કોઈને અધિકાર નથી.
કોરોના મહામારીની ત્રીજી લહેર ખૂબ જટિલ
કોરોના મહામારીની ત્રીજી લહેર ખૂબ જટિલ છે. ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશોમાં કોરોનાની ત્રીજી લહેર મોટો પડકાર બનશે એ નક્કી છે. જો આપણા સૌની બેદરકારીને કારણે ફરીથી લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થયું તો તે માંડ પાટે ચઢેલી અર્થવ્યવસ્થા માટે આ મરણતોલ ફટકો સાબિત થશે. ભારતમાં વાઈરસની ચેઈન તોડવા માટે આરોગ્ય તંત્ર દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી છે. કોરોનાની વેક્સિન આ નવા વાઈરસ સામે લડવામાં અસરકારક સાબિત થશે કે કેમ તેનો ઉત્તર કોઈ પાસે નથી. વેક્સિન બનાવનારી કંપનીઓ ભલે ગમે તેવા દાવા કરતી હોય, પણ એ યાદ રાખવું જોઈએ કે કોરોનાના નવા સ્ટ્રેનથી પરેશાન બ્રિટન જ કોરોના વેક્સિનેશનને મંજૂરી આપનારો પ્રથમ દેશ છે.
નવો સ્ટ્રેન આપણા દેશ માટે પણ બહુ મોટો પડકાર
જો વેક્સિન કારગર સાબિત નહીં થાય તો આપણે વેક્સિનને પણ સતત અપડેટ કરવી પડશે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે, પરંતુ ખતરો હજુ પણ ટળ્યો નથી. કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન આપણા દેશ માટે પણ બહુ મોટો પડકાર બની શકે છે. નવા વાઈરસ વેરિઅન્ટ વિશે હજુ દુનિયાભરમાં સંશોધન ચાલે છે અને તેના વિશે વૈજ્ઞાનિકો પાસે પણ વધુ માહિતી નથી. ભારતમાં લોકડાઉન ખૂલવાનો અર્થ લોકોએ એવો સમજી લીધો છે કે હવે કોરોનાનો ખતરો ટળી ગયો છે, પણ હકીકત જુદી જ છે. બ્રિટનમાં દેખાયેલો નવો વાઈરસ સમગ્ર દુનિયા માટે ચેતવણી છે કે કોઈપણ પ્રકારની બેદરકારી ખતરનાક સાબિત થઈ શકે છે. હાલની સ્થિતિમાં તો સાવચેતી એ જ સલામતી છે.•