EPFOથી જોડાયેલા લાખો કર્મચારીઓને ટૂંક સમયમાં મોટો આંચકો લાગી શકે છે. એવી અટકળો છે કે, EPFO વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. હાલમાં જ એવા સમાચાર સામે આવ્યા છે કે, આ નાણાકીય વર્ષમાં વ્યાજદરમાં 15થી 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. જો આવું થાય તો કર્મચારીઓને પીએફ ખાતામાં જમા થતી કમાણી પર ઓછું રિટર્ન મળશે.
PF ખાતાધારકો માટે ખરાબ સમાચાર
પીએફના વ્યાજદરમાં થઈ શકે છે ઘટાડો
કર્મચારીઓને મળશે ઓછું રિટર્ન
તમને જણાવી દઈએ કે, પગારદારોએ નિયમિત રીતે સેલરીનો અમુક ભાગ EPFOમાં રોકાણ કરવું પડે છે. ભવિષ્ય માટે જમા થનારી આ રકમ પર વાર્ષિક દરે વ્યાજ પણ મળે છે. પણ હવે એવા સમાચાર છે કે, 31 માર્ચ 2020એ ખતમ થતાં નાણાકીય વર્ષ પહેલાં કર્મચારીઓને ઝટકો લાગી શકે છે. તમને જણાવી દઈએ કે હાલ EPFO વર્ષ 2018-19માં 8.65 ટકાના દરે વ્યાજ આપે છે.
અર્થવ્યવસ્થામાં સુસ્તી હોવાના કારણે થઈ શકે છે ઘટાડો
એક મીડિયા રિપોર્ટમાં એવી ચિંતા વ્યક્ત કરી છે કે, અર્થવ્યવસ્થામાં સુસ્તી હોવાના કારણે, બજારમાં ઘટતા રિટર્નને કારણે કર્મચારીઓને આંચકો આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં જો વ્યાજના દરમાં 15થી 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે.
આ મહિનાના અંત સુધીમાં વાર્ષિક દરની જાહેરાત થઈ શકે છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મહિનાના અંત સુધીમાં ઈપીએફઓના વાર્ષિક દરની જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018-19માં 8.65 ટકાના દરે વ્યાજ આપ્યા બાદ ઈપીએફઓ પાસે 151 કરોડ રૂપિયા સરપ્લસ બચી હતી. જ્યારે 2017-18માં ચુકવણી પછી આ સરપ્લસ રકમ 586 કરોડ રૂપિયા હતી.