કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન: કેન્દ્રની મોદી સરકાર દ્વારા નવી નોકરી શરૂ કરનાર કર્મચારીઓને EPF અથવા NPS માં કોઇ પણ એકને સિલેક્ટ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવી શકે છે.
હવે તમારા પીએફનાં સંપૂર્ણ નાણાં એનપીએસ દ્વારા શેરબજારમાં રોકી શકાશે. કર્મચારીઓને ટૂંક સમયમાં આ વિકલ્પ મળનાર છે એટલું જ નહીં, હવે જ્યારે તમે નવી નોકરી જોઇન કરશો ત્યારે તમને પૂછવામાં આવશે કે શું તમે ઇપીએફ સ્કીમ લેવા માગો છો કે એનપીએસ? સરકારે આ પ્રસ્તાવનો ડ્રાફ્ટ ઇશ્યૂ કરી દીધો છે અને ૨૪ સપ્ટેમ્બરે આ અંગે આખરી નિર્ણય લેવા એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે.
નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ સરકારી રિટાયરમેન્ટ સેવિંગ્સ સ્કીમ છે, જે કેન્દ્ર સરકારે ૧ જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ લોન્ચ કરી હતી. આ તારીખ બાદ જોઇન કરનાર તમામ સરકારી કર્મચારીઓ માટે આ યોજના ફરજિયાત છે.
વર્ષ ૨૦૦૯ બાદ આ યોજના પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે પણ ખુલ્લી મૂકી દેવામાં આવી છે. પીએફનાં સમગ્ર નાણાં એનપીએસમાં ટ્રાન્સફર કરવાનો હવે કર્મચારીઓને વિકલ્પ મળી શકે છે. તમે તમારી ઇચ્છા મુજબ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ) અથવા નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ની પસંદગી કરી શકો છો.
આ અંગે આખરી નિર્ણય લેવા શ્રમ મંત્રાલય ૨૪ સપ્ટેમ્બરના રોજ તમામ પક્ષકારની એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં સંમતિ સધાયા બાદ આ પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ મંજૂરી અર્થે મોકલવામાં આવશે.
એનપીએસ વિકલ્પ પસંદ કરવા પર એક મહિનામાં તમારાં સંપૂર્ણ નાણાં ટ્રાન્સફર થઇ જશે. એનપીએસ વિકલ્પ પસંદ કર્યા બાદ તમે ઇચ્છો તો ફરીથી ઇપીએફ વિકલ્પ પસંદ કરી શકશો, જોકે ઇપીએફ સ્કીમ ફરીથી પસંદ કરશો તો તમને નવા મેમ્બર ગણવામાં આવશે. કામદાર મંડળ કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યાં છે. આ બેઠકમાં પીએફને લગતા અન્ય વિવાદો અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે.