આજે વહેલી સવારથી મહીસાગર અને બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદી છાંટા શરૂ થયા છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો
મહીસાગર-બનાસકાંઠા જિલ્લામાં પડ્યો વરસાદ
કમોસમી વરસાદથી અન્નદાતાઓની ચિંતા વધી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની કરેલી આગાહી મુજબ આજથી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. 5, 6 અને 7 માર્ચે સોરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી કમોસમી વરસાદની આગાહીને પગલે આજે કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડ્યો છે.
અંબાજીમાં વહેલી સવારે કમોસમી વરસાદ
આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસ્યો હતો. ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકતા અન્નદાતાઓની ચિંતામાં વધારો થયો છે. કારણ કે માવઠાથી કેરી અને ઘઉંના પાકને અસર થવાની ચિંતા છે.
વરસાદી માહોલથી ખેડૂતોને નુકસાનની ભીતી
બનાસાકાંઠા જિલ્લા ઉપરાંત મહીસાગર જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વરસાદી છાંટા શરૂ થયા છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા સાથે વરસાદી છાંટા પડી રહ્યા છે. જિલ્લામાં વરસાદી માહોલથી ખેડૂતોને નુકસાનની ભીતી છે. કડાકા ભડાકા સાથે માવઠારૂપી વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે. કમોસમી વરસાદથી ઘઉં, મકાઈ સહિતના પાકો અને સૂકા ઘાસચારામાં નુકસાન થઈ શકે છે.
રાજ્યમાં માવઠાની આગાહી
આપને જણાવી દઈએ કે, રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 માર્ચથી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદી છાંટા પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી આગામી ચાર દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.
અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છેઃ મનોરમા મોહંતી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યના દક્ષિણપૂર્વના છોટાઉદેપુર, વડોદરા, નર્મદામાં હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે, આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી અને ભુજમાં વરસાદ થઈ શકે છે. અપર લેવવમાં હવાનું સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ તરફનું રહેશે, જેના કારણે અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છે અને લોઅરમાં પૂર્વીય પવન છે જેના કારણે હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે.
ગુજરાતમાં ક્યાં-ક્યાં પડી શકે વરસાદ?
હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું માનીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરતમાં વરસાદની શક્યતા છે. આ સાથે ગીરસોમનાથ, ભાવનગર, જુનાગઢ, અમરેલીના દરિયાકાંઠના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધાનિય છે કે, 5 થી 7 માર્ચ વચ્ચે વરસાદ પડી શકે છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ બંધ રહેશે
હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગર માર્કેટિંગ યાર્ડે અગમચેતી બન્યું છે. કમોસમી વરસાદ લઇ માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ માટે બંધ રહેશે. આગાહીને લઇ યાર્ડમાં માલ સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. યાર્ડના રાજસ્થાનના શ્રમિકો હોળીના પર્વ નિમિત્તે વતન જશે. હોળીના પર્વને ધ્યાનમાં લઇને પણ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. યાર્ડમાં તમામ પ્રકારની જણસી લાવવા પર પ્રતિબંધ મુકાયો છે.
અમરેલીના ખેડૂતો ચિતામાં મુકાયા
રાજ્યમાં માવઠાની આગાહીને લઇ અમરેલીના ખેડૂતો ચિંતામાં મકાયા છે. અમરેલીમાં ખેડૂતોને રવિ પાકમાં નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પાકની માવજત તૈયાર કરી છે. ઘઉં, ચણા, જીરું, ધાણા સહિતના પાકોની માવજત કરી છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે. ખેડૂતો ખેતરમાંથી પાક ઉતારી સુરક્ષિત સ્થળે ખસેડવા મજબૂર બન્યા છે.
રાજ્યમાં માવઠાની આગાહીને લઇ ખેડૂતો ચિંતામાં
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવાના આવતા હવે કેરી, ઘઉં અને કપાસના પાકને અસર થવાની ભીતિ ઊભી થઈ છે. અરવલ્લી પથંકમાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. તા.4 થી 6 માર્ચ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લા રજિસ્ટ્રારે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી અને ચેરમેનને સાવચેતી રાખવાની જાણ કરાઈ છે. માર્કેટયાર્ડમાં આવેલા પાકને સચેતસ્થળે ખસેડવા સૂચના જારી કરાઈ છે.જિલ્લા રજિસ્ટ્રારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને પત્ર લખી જાણ કરી છે.
વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં
સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં આવી છે અને આગાહીના પગલે અગમચેતી તૈયારી બતાવી છે. 5 અને 6 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ થયું છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. ખેતરમાં કાપણી કરેલા પાકો સલામત સ્થળે ખસેડવા અપીલ કરાઈ છે. ખેડૂતોનો પાક બગડે નહી તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનો કરાયાં છે.