કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીનમાં દરરોજ સેંકડો લોકોના મોત થઈ રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત છે
ચીનમાં કોરોના પ્રતિબંધો હટાવ્યા બાદ કોવિડના કેસ ઝડપથી વધ્યા
ચીનમાં કોરોનાનું નવું ખતરનાક રૂપ આવવાની સંભાવના
Omicronના bf.7 વેરિઅન્ટના કારણે ચીનમાં કેસ વધી રહ્યા હોવાનો દાવો
ચીનમાં કોરોના પ્રતિબંધો હટાવ્યા બાદ કોવિડના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને લઈ હવે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ છે અને મૃત્યુના આંકડા પણ વધી રહ્યા છે અને દવાઓની પણ અછત છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીનમાં દરરોજ સેંકડો લોકોના મોત થઈ રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત છે. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું છે કે, Omicronના bf.7 વેરિઅન્ટના કારણે ચીનમાં કેસ વધી રહ્યા છે, પરંતુ જે મુજબ દરરોજ નવા કેસ વધી રહ્યા છે તે જોતા નિષ્ણાતોની ચિંતા વધી ગઈ છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, ચીનમાં જે રીતે કોવિડ વધી રહ્યો છે, તેવામાં આ દેશમાં કોરોનાનું નવું ખતરનાક રૂપ આવવાની સંભાવના છે. પરંતુ ચીન હજુ તેની માહિતી આપી રહ્યું નથી. ચાલો જાણીએ ચીનમાં કોવિડને કારણે બગડતી પરિસ્થિતિ વિશે રોગચાળાના નિષ્ણાતોનું શું કહેવું છે ?
ચીનમાં નવા વેરિઅન્ટનો ખતરો
સફદરજંગ હોસ્પિટલમાં કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટના એચઓડી પ્રોફેસર ડૉ. જુગલ કિશોર કહે છે કે, ચીનમાં જે રીતે કોરોના વધી રહ્યો છે તે મુજબ ત્યાં કોરોનાનું નવું વેરિઅન્ટ આવ્યું હોવાની સંભાવના છે. કારણ કે નવા પ્રકાર હોય ત્યારે જ કેસો અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા એટલી ઝડપથી વધે છે. જૂના પ્રકારથી આવી ખતરનાક અસરનું જોખમ ઓછું છે. ડૉ. કિશોર કહે છે કે, ચીનમાં કોવિડ વધવાને કારણે જાપાન અને અમેરિકામાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. તે ચિંતાનો વિષય છે કે, હોસ્પિટલમાં દાખલ થવામાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે તમામ દેશોએ સતર્ક રહેવાની જરૂર છે.
આ સાથે ડૉ. જુગલ કિશોર કહે છે કે, હવે ચીનથી લઈને વિશ્વના ઘણા દેશોમાં કોવિડ ફેલાવાનું જોખમ વધી ગયું છે. આવી સ્થિતિમાં વાયરસને ફરીથી નિયંત્રિત કરવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો કરવા પડશે. કારણ કે, જો ચીનમાં નવો પ્રકાર આવે છે અને તે ખૂબ જ ચેપી બની જાય છે, તો ફરીથી કોવિડના કેસ વિશ્વભરમાં વધી શકે છે. આવી સ્થિતિમાં ભારતના લોકોને કોવિડ વિશે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. નવું વર્ષ આવી રહ્યું હોવાથી લોકો પાર્ટી કરશે. આવી સ્થિતિમાં કોવિડ તેના પગ ફેલાવી શકે છે. હવે કોરોના અંગે સાવચેતી રાખવી અને નિવારણના નિયમોનું પાલન કરવું જરૂરી છે.
આ તરફ એપિડેમિયોલોજિસ્ટ ડૉ. અજય કુમાર કહે છે કે, કેન્દ્ર સરકારે જિનોમ સિક્વન્સિંગ વધારવા માટે સૂચનાઓ આપી છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર તેનો કડક અમલ કરવો પડશે. સિક્વન્સિંગ વધારવાથી સમયસર નવા પ્રકારો ઓળખવામાં આવશે. જેના કારણે વાયરસની વધતી અસરને નિયંત્રિત કરી શકાય છે. અત્યારે તો એ જરૂરી છે કે, બહારથી આવતા લોકોના ટેસ્ટ કરાવવામાં આવે અને તમામ રાજ્યોમાં કોવિડની તપાસ ફરી વધારવી જોઈએ.