ઈંગ્લેન્ડ ટીમના 7 સદસ્યો કોરોના પોઝીટીવ થતાં પાકિસ્તાન સામેની સિરીઝ માટે 18 ખેલાડીઓની નવી ટીમ જાહેર કરવી પડી છે.
ઇંગ્લેન્ડે જાહેર કરી નવી 18 ખેલાડીઓની ટીમ
કોરોનાના લીધે તમામ ખેલાડીઓ આઇસોલેશનમાં
નવા ખેલાડીઓ માટે ગોલ્ડન તક
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે એક પણ પોઝીટીવ ખેલાડીનું નામ જાહેર કર્યું નથી
કોરોનાના લીધે અત્યાર સુધી ઘણી બધી સિરીઝ કેન્સલ થઈ ચૂકી છે. IPLની 2021ની એડિશન પણ કોરોનાના કારણે અનિશ્ચિત સમય માટે અટકાવી દેવામાં આવી હતી. ઈંગ્લેન્ડ પાકિસ્તાન સામે 8 જુલાઈથી 3 ODI મેચ અને તેટલી જ T20 મેચ પણ રમવાની છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કોઈપણ ખેલાડીનું નામ જાહેર કર્યું નથી પરંતુ સૂત્રો અનુસાર ટીમના ઓપનિંગ બેટ્સમેન અને લેગ સ્પિનર પોઝીટીવ આવ્યાના અહેવાલો છે.
જાહેર કરાયેલી નવી 18 ખેલાડીઓની ટીમમાં પેહલા જાહેર કરેલી સ્ક્વૉડમાંથી એકપણ ખેલાડીને જગ્યા મળી નથી. પાકિસ્તાન સામેની સિરિઝમાં બેન સ્ટૉક્સ આ બિનઅનુભવી ટીમની આગેવાની કરશે. ઈંગ્લેન્ડ ટીમના 3 ખેલાડીઓ અને 4 સ્ટાફ મેમ્બર્સ કોરોના પોઝીટીવ આવતા બાકીના તમામ ખેલાડીઓને આઇસોલેશનમાં મોકલી દીધા છે.
ઈંગ્લેન્ડ મેન્સ ક્રિકેટના મેનેજિંગ ડાયરેક્ટર એશ્લે જાઈલ્સે કહ્યું કે, નવા ખેલાડીઓ માટે પોતાની કાબેલિયત આંતરરાષ્ટ્રીય લેવલ પર બતાવવા માટેની આ ગોલ્ડન તક છે. કોઈપણ ખેલાડીને 24 કલાક પહેલા તો આટલી મોટી મેચમાં રમવા મળશે તેવી આશા પણ નહીં હોય. આ તમામ ખેલાડીઓએ ડોમેસ્ટિક લેવલ પર ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને આશા છે કે તેમનું આ ફોર્મ આવનારી સિરિઝમાં ઈંગ્લેન્ડને જીત અપાવશે.
બેન સ્ટૉક્સ પ્રથમ વખત ODI મેચમાં કપ્તાની કરશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ટીમને આ કઠિન સમયમાં સહયોગ આપવા માટે આભાર વ્યક્ત કર્યો. તાજેતરમાં જ રમાયેલી શ્રીલંકા સામેની સિરીઝને ઇંગ્લેન્ડે 2-0થી જીતી લીધી હતી. જેમાં સિરીઝની છેલ્લી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.
ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડમાં છે
જણાવી દઈએ કે, ભારતીય ટીમ પણ હાલ ઈંગ્લેન્ડમાં જ છે. 4 ઓગસ્ટથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત થવાની છે તેવામાં કોરોનાના સમાચાર આવતા સિરીઝ પર શંકાના વાદળો ફરી રહ્યા છે. કેટલીક અટકળો એવી પણ છે કે આ કોરોનાના કેસ ડેલ્ટા વેરિઅન્ટના છે.