એક તરફ પેટ્રોલ ડીઝલ અને ગેસનાં ભાવો વધતા જાય છે. વાહનો ચલાવવામાં ઘરનું બજેટ ખોરવાય છે. તેવાં સમયમાં રાજપીપળા સરકારી એન્જિનિયરીંગ કોલેજનાં વિદ્યાર્થીઓએ સોલાર કાર બનાવી ફ્યુઅલનાં વધતા ભાવ સામે સસ્તો અને સારો વિકલ્પ આપ્યો છે. જો કે, આ સંશોધન વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટનાં ભાગરૂપે કર્યો છે પરંતુ તેમનો પ્રયાસ પ્રશંસનીય છે. ત્યારે વિદ્યાર્થીઓને સરકાર પાસે કેવી અપેક્ષા જોઈએ છે તે જોઇએ આ અહેવાલમાં.
પેટ્રોલ, ડીઝલ સહિતનાં ફ્યુઅલમાં પ્રતિદિન ભાવ વધારો થઈ રહ્યો છે. ફ્યૂઅલનાં ભાવ વધતાં ઉપરાંત પેટ્રોલ-ડીઝલ અને ગેસથી ચાલતા વાહનોથી હવામાં પ્રદુષણ પણ વધી રહ્યું છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો શું કરવું જોઇએ તેવો વિચાર રાજપીપળા એન્જિનિયરિંગ કોલેજનાં વિદ્યાર્થીઓ હર્ષ ગાંધી, સ્વપ્નીલ જાદવ,અને જય વસાવાને આવ્યો. આ ત્રણેય વિદ્યાર્થીઓએ ઉર્જાનાં શ્રેષ્ઠ વિકલ્પ એવાં સોલાર ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
વિશ્વભરમાં સોલરથી ચાલતી કાર માટે ચર્ચાઓ થઇ રહી છે, ત્યારે ભારત પણ તેમાંથી બાકાત નથી, પરંતુ ભારતમાં હજુ સોલાર કારનો આવિષ્કાર થયો નથી. ત્યારે હર્ષ, સ્વપ્નીલ અને જય ત્રણેય વિદ્યાર્થીઓએ મળીને સોલાર કાર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. આ વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતા અને કૌશલ્યનો પરિચય આપીને સોલારથી ચાલતી કાર બનાવી છે.
સરકારી એન્જિનિયરિંગ કોલેજનાં નિયમ મુજબ વિદ્યાર્થીનાં રહેઠાણથી નજીક કોઇ પણ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોજેકટ બનાવી શકાય છે, ત્રણે ભરૂચમાં રહેતા હોઇ ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજને તેમણે પ્રોજેક્ટ માટે પસંદ કરી હતી. ત્રણેય મિત્રોએ ભેગાં થઇને કાર માટે જરૂરી એવો સામાન ભંગારમાંથી મેળવી તેમણે કાર બનાવવાનાં અભિયાનનો પ્રારંભ કર્યો હતો. બે મહિના સતત મહેનત કરી આ વિદ્યાર્થી ત્રિપુટીએ 250 વોટની બે સોલાર પેનલ, 12 વોટની ચાર બેટરી અને અન્ય જરૂરી સમાનનો ઉપયોગ કરી કુલ રૂપિયા એક લાખ વીસ હજારનાં ખર્ચે સોલાર કાર તૈયાર કરી છે.
સોલાર કાર બનાવનાર ત્રિપુટીનાં કહેવા મુજબ કારમાં રહેલી બેટરી સોલાર અને ઇલેક્ટ્રિક બંને રીતે ચાર્જ કરી શકાય છે. ફૂલ ચાર્જ થયા પછી કાર 70 કિલોમીટરની એવરેજથી ચાલે છે. જ્યારે બેટરીમાં રહેલા ઍમ્પિયરમાં એક્સીલેટર વડે વધારો ઘટાડો કરી કારની સ્પીડમાં પણ વધારો કે ઘટાડો કરી શકાય છે.
સોલાર કાર હાલ 65થી 70ની ઝડપે ચાલી શકે છે. જો સરકાર મદદરૂપ થાય તો આ આવિષ્કારને વાસ્તવિક રૂપમાં લાવી સોલાર કારનું ઉત્પાદન કરી શકાય છે. એક તરફ જ્યારે પેટ્રોલ-ડીઝલ અને ગેસનાં ભાવમાં વધારો થતાં વાહનો ચલાવવા મોંઘા પડી રહ્યાં છે ત્યારે આવી સોલાર કાર બજારમાં આવે તો તે વાહન ચાલકો માટે આશિર્વાદ બનશે. ઉપરાંત વાતાવરણમાં પ્રદુષણ પણ ઓછું થશે.