બાળકોની ગુસ્સેલ પ્રવૃત્તિની પાછળ મોબાઇલ, લેપટોપ વગેરે આધુનિક ગેઝેટ્સની મુખ્ય ભૂમિકા છે.
આક્રોશના આવેગમાં સળગતી યુવા પેઢી
દર વર્ષે ૩૦-૩૨ ટકા હત્યાઓ અનિયંત્રિત ક્રોધનું જ પરિણામ
એકલતા કોમળ હ્રદય માટે પ્રતિકૂળતાઓ લઇને આવે છે
નવીનીકરણના ઉલ્લાસમાં ન ઇચ્છવા છતાં પણ અનેક જટિલતાઓ સમાજમાં બળપૂર્વક મજબૂત સ્થાન બનાવવા લાગી છે. અભૂતપૂર્વ સફળતાઓની ઇચ્છાઓ અજાણ્યા જ જીવનમાં તણાવ લઇ આવે છે. આ બધું મગજના અસંતુલનનું કારણ પણ બનવા લાગે છે. બદલાતી જીવનશૈલીના સંદર્ભમાં આત્મસંતુષ્ટિને જોવામાં આવે તો ભૌતિકતાવાદની અપેક્ષાઓમાં અવસાદ, આક્રોશ અને અધીરતા તુલનાત્મક સ્તરે વધી ચૂકી છે.
તેમાં કોઇ બેમત નથી કે ટેક્નિકલ વિકાસ અને આધુનિકીકરણે ઘર-પરિવારના માપદંડો પણ બદલી નાખ્યા છે. બાલ વિકાસ પર તેનો વિશેષ પ્રભાવ પડ્યો છે. બાળપણની માસૂમિયત તથા કિશોરાવસ્થાની અલ્લડતામાં વિલાસિતા અને આક્રમકતા દેખાવા લાગી છે. થોડા દિવસો પહેલાં એક યુવક દ્વારા ટેક્સાસમાં અંજામ અપાયેલી ફાયરિંગની બર્બર ઘટનાએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધુ છે. ભયાનકતાના આવા અનેક ઉદાહરણ આજે વૈશ્વિક સમાજ સમક્ષ યક્ષ પ્રશ્ન બનીને ઊભરી રહ્યા છે.
મનોચિકિત્સકો અનુસાર અકસ્માત આવેગનું અનિયંત્રિત સ્તર ખાસ કરીને એવા લોકોમાં વધુ જોવા મળે છે, જેનામાં ખુશ રહેવાની પ્રવૃત્તિ હોતી નથી અથવા કોઇ કારણસર તેમને પ્રસન્ન રહેવાનો અવસર મળતો નથી. તેમના મગજની કોશિકાઓ ક્રોધ પ્રત્યે એટલી સંવેદનશીલ થઇ જાય છે કે સહેજ પણ વાત હોય તો સક્રિયતાની સંભાવનાઓ વધી જાય છે. સામે વાળી વ્યક્તિ વિચારી પણ શકતી નથી કે આકસ્મિક ઉપજેલો આ આવેશ તેમના માટે જીવલેણ સાબિત થઇ શકે છે.
બાળકોમાં ક્રોધની પ્રવૃત્તિ ઉંમર અનુસાર પરિવર્તિત થાય છે. વર્ષ ૨૦૧૪માં ઇન્ડિયન જર્નલ સાઇકોલોજિકલ મેડિસિનમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર છોકરાઓમાં છોકરીઓની સરખામણીમાં વધુ ગુસ્સો જોવા મળે છે. ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો ઓફ ઇન્ડિયાના આંકડા જણાવે છે કે હાલના સમયમાં ભારતનું નામ એ દેશોમાં સામેલ થવા લાગ્યું છે જ્યાં નજીવી બાબતમાં લોકોનુ ભડકવું સામાન્ય બની ગયું છે. દર વર્ષે ૩૦-૩૨ ટકા હત્યાઓ આ અનિયંત્રિત ક્રોધનું જ પરિણામ છે.
બાળકોની ગુસ્સેલ પ્રવૃત્તિની પાછળ મોબાઇલ, લેપટોપ વગેરે આધુનિક ગેઝેટ્સની મુખ્ય ભૂમિકા છે. મનોરંજનનાં નામે માતા-પિતા જેને હાથમાં થમાવી દે છે. જીતવાની હોડમાં કાલ્પનિક હરીફને મારવાનો સિલસિલો ક્યારે વધતી ઉંમર સાથે અસામાન્ય વ્યવહારનો ભાગ બની જાય છે તેની જાણ પણ થતી નથી.
ગેમની આ લત શારીરિક અને માનસિક ક્ષમતાને પ્રભાવિત કરવાની સાથે ઘણી વાર ભયાનક પરિસ્થિતિઓની નિર્માતા પણ બની જાય છે. તાજેતરના ઉદાહરણમાં લખનઉના એક કિશોરે બેરહેમીથી પોતાની માતાને મારી નાખી હતી, કેમકે તેની માતા તેને પબજી ગેમ રમવાની ના પાડતી હતી. આંધ્રપ્રદેશમાં એક કિશોરે એટલે આત્મહત્યા કરી લીધી કેમકે ઉપરની ગેમમાં હારવા પર તેના ફ્રેન્ડ્સ તેની મજાક ઉડાવતા હતા.
પારિવારિક વાતાવરણની બાળકોના સ્વભાવ પર સીધી અસર પડે છે. માતા-પિતાના તણાવપૂર્ણ સંબંધો, બાળકો પ્રત્યેનો દુર્વ્યવહાર વગેરે બાળમાનસને વિશેષ રીતે પ્રભાવિત કરે છે. વાલીઓની અતિવ્યયસ્તતા અને તૂટતા જતા સંયુક્ત પરિવારોથી ઉપજતી એકલતા કોમળ હ્રદય માટે પ્રતિકૂળતાઓ લઇને આવે છે. ખાસ કરીને ૧૧થી ૧૬ વર્ષની ઉંમરના નાજુક સમયમાં પેરેન્ટ્સ સંતાન પર ધ્યાન ન આપે તો ભવિષ્યમાં પરિસ્થિતિઓને દોષ આપવો નિરર્થક હશે. તેમને વધુમાં વધુ સમય આપવો અને પ્રકૃતિ તથા સમાજ સાથે જોડી રાખવા તે એક જરૂરિયાત છે.