જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. અનંતનાગ જિલ્લાના નૌગામ શાહબાદમાં સુરક્ષાબળે 2 થી 3 આતંકીઓને ઘેર્યાં છે. જો કે એક મળતાં અહેવાલ મુજબ સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. જો કે હજુ સુધી તેનો મૃતદેહ મળ્યો નથી.
સેનાએ ઠાર મારેલા આતંકીની ઓળખ મોહમ્મદ ઇકબાલ તરીકે કરાઇ છે, જે જૈશનો આતંકી હતો. આમ આ સેનાની એક મોટી સફળતા છે. જો કે હાલમાં બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં 2થી 3 આતંકી છુપાયા હોવાના ઇનપૂટ મળતા સુરક્ષાબળોની જોઇન્ટ ટીમે ઓપરેશન શરૂ કરી આ વિસ્તારને ઘેરી લીધો હતો. સીઆરપીએફ, 19 રાષ્ટ્રીય રાયફલ અને જમ્મૂ-કાશ્મીર પોલીસની એસઓજીની ટીમ મળીને આતંકીઓ વિરુધ્ધ ઓપરેશનની કાર્યવાહી કરી રહી છે.
જમ્મૂ કશ્મીરમાં ગઈ મોડી રાતના 2 વાગ્યાથી સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં સુરક્ષાબળને એક આતંકીને ઠાર મારવામાં સફળતા મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ એક મકાનમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે. જેના પગલે સુરક્ષાબળના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેર્યો છે.
હાલ તો આતંકીઓનો ખાતમો બોલાવવા માટે સુરક્ષાબળે કાર્યવાહી હાથ ધરી છે. સુરક્ષાબળે સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સુરક્ષાબળે આજના દિવસ સુધીમાં કુલ 108 આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે. ગઈ કાલે પણ પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાબળ વચ્ચે થયેલી અથડામણમાં સુરાક્ષાબળે 4 આતંકીઓનો ઘાટીમાંથી સફાયો કર્યો હતો. આમ જમ્મૂ-કાશ્મીરના ઘાટી વિસ્તારમાં હજુ પણ સેનાનું ઓપરેશન ઓલ આઉટ ચાલુ છે.