જમ્મૂ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં આતંકીઓ સાથે ચાર અથડામણ સામે આવી છે. શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ છે. સેનાને મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં 2થી 3 આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. જ્યારે બાંદીપોરામાં અથડામણ દરમિયાન લશ્કર-એ-તૈયબાના બે આતંકી ઠાર મરાયાં છે.
જેમાં લશ્કરનો ટોપ કમાન્ડર અલી પણ સામેલ છે. જો કે આ ચાર અથડામણમાં ચાર આતંકીઓ ઠાર મરાયાં છે. જ્યારે ભારતીય સેનાના એક અધિકારી સહિત ત્રણ સેનાના જવાનો ઘાયલ થયા છે. લશ્કરનો ટોપ કમાન્ડર અલી પાકિસ્તાનનો નિવાસી હોવાનો દાવો છે. શ્રીનગર સ્થિત રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે બારામૂલાના કલંતરા વિસ્તારમાં નમબલનાર અભિયાનમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. જો કે અથડામણ હજુ પણ ચાલું હોવાની જાણકારી મળી છે.
આંતકીઓ છૂપાયા હોવાની જાણકારી મળતાં સેનાએ આ વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જેના કારણે છુપાયેલા આતંકીઓએ સેના પર ફાયરિંગ કર્યું. જેમાં સેનાએ જવાબીકાર્યવાહીમાં આતંકીઓ સામે ફાયરિંગ કરતાં અથડામણ શરૂ થઇ ગઇ.
બારામૂલામાં હોળીના દિવસે આતંકીઓએ એક ગ્રેનેડ હુમલો એવા સમયે કર્યો જ્યારે અહીં સેના દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું. આ હુમલા બાદ આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી.